
રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે રાજુલા ખાતે ૨૨ કરોડના ખર્ચે નિર્મિત ૧૦૮ બેડની અત્યાધુનિક મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ અને ટ્રોમા સેન્ટરનું લોકાર્પણ કર્યું હતું. ‘મહાત્મા ગાંધી આરોગ્ય મંદિર’ નામની આ હોસ્પિટલ રામકૃષ્ણ આરોગ્ય સેવા ટ્રસ્ટ અને વિદ્યાગુરુ ફાઉન્ડેશનના સંયુક્ત ઉપક્રમે તૈયાર કરવામાં આવી છે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા આપવામાં આવેલી વીઆઇપી કલ્ચર ઘટાડવાની’ અપીલને સાર્થક કરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ માત્ર બે કારના નાના કાફલા સાથે રાજુલા પહોંચ્યા હતા. સામાન્ય રીતે મોટા કાફલાઓ સાથે મુસાફરી કરતા મુખ્યમંત્રીનો આ સાદગીભર્યો અભિગમ લોકોમાં ચર્ચાનો વિષય બન્યો હતો.
કેન્દ્રીય મંત્રી સી. આર. પાટીલ સહિત રાજ્યના મંત્રી પ્રફુલ પાનશેરિયા અને કાંતિ અમૃતિયાએ પણ પાયલોટિંગ કારનો ઉપયોગ બંધ કરવાની જાહેરાત કરી છે. જ્યારે હર્ષ સંઘવીએ પોતાનો અમેરિકાનો પ્રવાસ રદ કર્યો હોવાનું જાણવા મળ્યું છે.
૧૦૮ બેડની આ હોસ્પિટલ શરૂ થતાં હવે રાજુલા અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોના દર્દીઓને સારવાર માટે મોટા શહેરોમાં જવાની જરૂર નહીં રહે. અહીં તમામ પ્રકારની સારવાર નિ:શુલ્ક ઉપલબ્ધ બનતા ગરીબ અને મધ્યમવર્ગીય પરિવારોને મોટી આર્થિક રાહત મળશે.
આ હોસ્પિટલમાં આધુનિક ટ્રોમા કેર, ઇમરજન્સી સારવાર અને વિશેષજ્ઞ ડોક્ટરોની સુવિધા ઉપલબ્ધ રહેશે. સ્થાનિક લોકો માટે આ પ્રકલ્પ આરોગ્ય સેવાઓમાં એક નવો માઇલસ્ટોન માનવામાં આવી રહ્યો છે.