
ભાજપની જ કેન્દ્ર સરકારના કૃષિ મંત્રીશ્રીએ ગુજરાત સરકારને પત્ર લખીને જણાવ્યું છે કે, ગુજરાતની ભાજપ સરકારે ૨૦૧૯-૨૦થી ખેડૂતોની પાક વિમા યોજના (PMFBY) બંધ કરી દીધી છે જેથી કુદરતી આફતના સમયે ગુજરાતનાં ખેડૂતોને કોઈ લાભ કેન્દ્ર સરકાર તરફથી મળ્યો નથી. કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા શક્તિસિંહ ગોહિલે ભાજપની કેન્દ્ર સરકારના કૃષિ મંત્રીના પત્રોની નકલ પ્રેસ મીડિયાને રજુ કરી હતી. આ પત્રમાં સ્પષ્ટ રીતે શક્તિસિંહ ગોહિલને જણાવ્યું છે કે, તમે તા. ૫/૧૨/૨૦૨૫ના રોજ સંસદ (રાજ્યસભા)માં ઝીરો અવર્સમાં મુદ્દો ઉઠાવીને જણાવ્યું હતું કે, ગુજરાતમાં અતિભારે વરસાદના કારણે ખેડૂતોને પારાવાર નુકસાન થયેલ છે તેને કેન્દ્ર સરકારે વળતર આપવું જોઈએ પરંતુ ગુજરાતની સરકારે ખેડૂતોની કેન્દ્રની પાક વિમા યોજના (PMFBY)નો ૨૦૧૯-૨૦થી અસ્વીકાર કર્યો હોવાથી ગુજરાતના ખેડૂતોને કેન્દ્ર સરકાર કોઈ વળતર આપી શકે તેમ નથી. વધુમાં પત્રમાં લખ્યું છે કે, ખરેખર કેન્દ્રની ખેડૂતોની પાક વિમા યોજના (PMFBY) ખુબ જ ઉપયોગી યોજના છે. જેમા વાવણીથી લઈને તૈયાર પાકને કોઈ પણ નુકસાન થાય તો ખેડૂતોને પૂરેપૂરુ વળતર મળી શકે છે. ગુજરાતની ભાજપની સરકારે કેન્દ્રની જ ભાજપની સરકારની ખેડૂત પાક વિમા યોજનાનો અસ્વીકાર કરેલ હોવાથી ગુજરાતના ખેડૂતોને અતિશય નુકસાન વેઠવું પડે છે.
કેન્દ્રના કેબિનેટ કૃષિ મંત્રીશ્રીએ તા. ૨૫/૧૧/૨૫ના રોજ ગુજરાતના મુખ્યમંત્રીશ્રીને પત્ર લખેલ અને જણાવેલ કે દેશના લગભગ તમામ રાજ્યો કેન્દ્રની ખેડૂત પાક વિમા યોજના (PMFBY)નો લાભ લઇ રહ્યા છે. કમોસમી વરસાદ, કુદરતી આફતો અને અતિવૃષ્ટિના સમયે ખેડૂતો ને ખુબ જ લાભ આ વિમાથી મળે છે માટે ગુજરાત સરકાર તાત્કાલિક ખેડૂત પાક વિમા યોજના શરુ કરે આમ છતાં આજ સુધી ગુજરાતમાં આ યોજના શરુ કરવામાં આવી નથી. જો આ વિમા યોજના ગુજરાત સરકારે સ્વીકારી હોત તો ગયા વર્ષે જે ખેડૂતોને કરોડો રૂપિયાનું નુકસાન થયું હતું તેમને પૂરે પૂરું વળતર મળી શક્યું હોત. આ યોજના ન હોવાથી ખેડૂતોને પારાવાર નુકસાન સામે માત્ર મર્યાદિત હેક્ટર માટે સાવ નજીવી રકમ ગુજરાત સરકાર તરફથી મળી હતી જે બિયારણ અને વાવેતરના ખર્ચ જેટલી પણ ન હોતી.
કેન્દ્રીય કૃષિ મંત્રીએ પોતાના પત્રમાં ગુજરાતના મુખ્યમંત્રીને લખ્યું છે કે, ખેડૂતોની પાક વિમા યોજના (PMFBY) માં ખેડૂતોના તમામ પાકને આવરી લઈને શાકભાજી તથા વૃક્ષોના નુકશાન માટે પણ સહાયની યોજના છે.
કોંગ્રેસ પક્ષે સરકાર પાસે માંગણી કરી છે કે,
1) ગુજરાતની સરકારે ખેડૂતોને કેન્દ્રની વિનંતી છતાં શા માટે પાક વિમા યોજનાથી વંચિત રાખ્યા? તેનો જવાબ આપે અને ખેડૂતોની માફી માંગે. ગતવર્ષે ખેડૂતોને જે નુકસાન થયેલ તેનું મર્યાદિત વળતર આપ્યું છે તેના બદલે પૂરેપૂરુ વળતર આપે.
2) હવે જયારે વરસાદ ખેચાંયો છે અને અલનીનોની અસરના કારણે ખેડૂતોને નુકસાન જવાની શક્યતા છે ત્યારે કેન્દ્રની ખેડૂતો માટેની પાક વિમા યોજના (PMFBY) તાત્કાલિક ગુજરાતમાં લાગુ કરવામાં આવે.
3) દેશના તમામ રાજ્યોએ આ યોજના નીચે ખેડૂતોને અઢળક લાભ આપ્યો છે ત્યારે ગુજરાતના ખેડૂતો ૨૦૧૯-૨૦થી લાભથી શા માટે વંચિત રખાયા? કોણ જવાબદાર છે?
4) કેન્દ્રીય કૃષિ મંત્રીશ્રીએ ગુજરાતના મુખ્યમંત્રીશ્રીને તા. ૨૫/૧૧/૨૫ના જે પત્ર લખ્યો છે તેમાં યોજનાના અનેક લાભ ખેડૂતો માટે દર્શાવ્યા છે તેમ છતા ગુજરાત સરકારે આ યોજના કેમ લાગુ ન કરી? શું કેન્દ્રીય મંત્રીશ્રી અથવા કેન્દ્ર સરકાર જુઠી છે? આ અંગે સરકાર ખુલાસો કરે.