
ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા શહેરમાં નાગરિકોની સુવિધા અને ટ્રાફિક નિયમનને સુચારુ બનાવવા માટે સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. જેના ભાગરૂપે મહાનગરપાલિકાની એસ્ટેટ શાખા દ્વારા પથિક આશ્રમની સામે જાહેર જનતા માટે બનાવવામાં આવેલી ફૂટપાથ પરથી રાહદારીઓને ચાલવામાં તથા વાહનવ્યવહારને અડચણરૂપ બનતા લારી-ગલ્લાના દબાણો હટાવવાની કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. શહેરના માર્ગોને સ્વચ્છ અને દબાણમુક્ત રાખવાના આશયથી આ સઘન કામગીરી હાથ ધરવામાં આવી હતી.
આ કાર્યવાહી દરમિયાન એસ્ટેટ શાખાની ટીમ દ્વારા પથિક આશ્રમ વિસ્તારમાં તપાસ કરીને ફૂટપાથ પર ગેરકાયદેસર રીતે ઉભા રહેતા દબાણો સામે સખત પગલાં લેવામાં આવ્યા હતા. આ કામગીરી અંતર્ગત ફૂટપાથ પર દબાણ કરતી કુલ આઠ જેટલી લારીઓ હટાવી લેવામાં આવી છે. આ દબાણો દૂર થવાથી હવે આ વિસ્તારમાં રાહદારીઓ માટે ફૂટપાથ સંપૂર્ણપણે ખુલ્લો અને સુરક્ષિત બન્યો છે, પરિણામે ટ્રાફિક જામની સમસ્યામાં પણ રાહત મળી છે.
મહાનગરપાલિકા તંત્ર દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે શહેરના કોઈપણ વિસ્તારમાં જાહેર જનતાને અડચણરૂપ બનતા આવા દબાણો ચલાવી લેવામાં આવશે નહીં. ભવિષ્યમાં પણ શહેરના અન્ય વિસ્તારોમાં ફૂટપાથ અને જાહેર રસ્તાઓ પર ઉભા થતા આવા ગેરકાયદેસર દબાણો હટાવવાની કામગીરી અવિરતપણે ચાલુ રાખવામાં આવશે. શહેરીજનો અને વેપારીઓને પણ અપીલ કરવામાં આવે છે કે તેઓ જાહેર માર્ગો અને ફૂટપાથને દબાણમુક્ત રાખીને શહેરની વ્યવસ્થા જાળવવામાં મહાનગરપાલિકાને પોતાનો પૂર્ણ સહકાર આપે.