ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડે વર્ષ 2026ની ધોરણ-12ની પરીક્ષાનું પરિણામ જાહેર કર્યું છે. વિજ્ઞાન પ્રવાહનું પરિણામ 84.33 ટકા અને સામાન્ય પ્રવાહનું પરિણામ 92.71 ટકા નોંધાયું છે.
ધોરણ-12 સામાન્ય પ્રવાહની પરીક્ષા રાજ્યના 535 કેન્દ્રો પર 26 ફેબ્રુઆરીથી 18 માર્ચ 2026 દરમિયાન યોજાઈ હતી. આ પરીક્ષામાં 4,36,572 નિયમિત ઉમેદવારો નોંધાયા હતા, જેમાંથી 4,35,102 ઉપસ્થિત રહ્યા હતા. તેમાં 4,03,362 વિદ્યાર્થીઓ સફળ થયા છે. બોર્ડના જણાવ્યા મુજબ નિયમિત ઉમેદવારોનું પરિણામ 92.71 ટકા આવ્યું છે.
વિજ્ઞાન પ્રવાહની પરીક્ષા માટે કુલ 156 કેન્દ્રો પર 1,18,973 વિદ્યાર્થીઓ નોંધાયા હતા, જેમાંથી 1,18,256 ઉપસ્થિત રહ્યા હતા. નિયમિત ઉમેદવારોની સંખ્યા 1,11,270 હતી, જેમાંથી 1,11,090 પરીક્ષા આપવા આવ્યા હતા. 93,678 વિદ્યાર્થીઓ પ્રમાણપત્ર મેળવવા પાત્ર બન્યા છે. વિજ્ઞાન પ્રવાહનું કુલ પરિણામ 84.33 ટકા રહ્યું છે.
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડના અધિકારીઓએ જણાવ્યું કે ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ, સામાન્ય પ્રવાહ, વ્યવસાયલક્ષી પ્રવાહ, ઉ.ઉ.બુ.પ્રવાહ, GUJCET-2026 અને સંસ્કૃત મધ્યમાનનું પરિણામ બોર્ડની સત્તાવાર વેબસાઇટ www.gseb.org પર સવારે 10 વાગ્યે જાહેર કરવામાં આવ્યું છે.
વિદ્યાર્થીઓ માટે માર્કશીટ ઓનલાઈન ઉપલબ્ધ છે. બોર્ડે સૂચના આપી છે કે વિદ્યાર્થીઓએ GSEB ની વેબસાઇટ gseb.org પર જઈ HSC Result લિંક પર ક્લિક કરી, પોતાનો રોલ નંબર દાખલ કરીને માર્કશીટ ડાઉનલોડ કરી શકે છે. માર્કશીટ ડાઉનલોડ કર્યા બાદ તેમાં દર્શાવેલ તમામ વિગતોની ચોકસાઈથી તપાસ કરવાની પણ સલાહ આપવામાં આવી છે.ગુજરાત સ્ટેટ ઓપન સ્કૂલ (GSOS) અંતર્ગત નિયમિત ઉમેદવારોનું પરિણામ 61.60 ટકા આવ્યું છે. અગાઉના વર્ષમાં નાપાસ થયેલા પુનરાવર્તિત ઉમેદવારો માટે 7,889 વિદ્યાર્થીઓ નોંધાયા હતા, જેમાંથી 7,415 ઉપસ્થિત રહ્યા હતા અને 4,459 ઉમેદવારો સફળ થયા છે. GSOS અંતર્ગત પુનરાવર્તિત ઉમેદવારોનું પરિણામ 60.13 ટકા નોંધાયું છે.બોર્ડના જણાવ્યા મુજબ આ વર્ષે પણ વિદ્યાર્થીઓએ શાનદાર પ્રદર્શન કર્યું છે અને સફળતાનો દર ઉંચો રહ્યો છે. પરીક્ષાના તમામ પરિણામો અને માર્કશીટ માટે બોર્ડે સત્તાવાર વેબસાઇટની મુલાકાત લેવાની સૂચના આપી છે.