નેશનલ ટેસ્ટિંગ એજન્સી દ્વારા દેશભરમાં રવિવારે(૨૧ જૂન, ૨૦૨૬) NEET ૨૦૨૬ની પુન: પરીક્ષા યોજાશે. ગુજરાતમાં શાંતિપૂર્ણ અને સુરક્ષિત માહોલમાં પરીક્ષા સંપન્ન થાય તે માટે પોલીસ તંત્રને લઈને તમામ તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી છે. પરીક્ષાને લઈને કોઈ પ્રકારે ગેરરીતિ કે પેપર લીક જેવી ઘટના ન બને તે માટે સોશિયલ મીડિયા પર બાજ નજર રખાશે.
પરીક્ષામાં સુરક્ષાને લઈને પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે, પરીક્ષાના સફળ આયોજન માટે ગુજરાત પોલીસ કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારના શિક્ષણ વિભાગ તેમજ NTA અને અન્ય સંબંધિત એજન્સીઓ સાથે સતત સંપર્ક અને સંકલનમાં રહીને કામ કરી રહી છે. પરીક્ષા કેન્દ્રો પર પહોંચવા માટે વિદ્યાર્થીઓ બસ, રેલવે કે પોતાના ખાનગી વાહનોનો ઉપયોગ કરતા હોય છે. તેઓ સમયસર અને કોઈપણ અવરોધ વગર પરીક્ષા કેન્દ્ર પર પહોંચી શકે તે માટે પૂરતી વ્યવસ્થા કરવામાં આવી છે.
તેમણે જણાવ્યું હતું કે, NEET પરીક્ષામાં પ્રશ્નપત્રોના ટ્રાન્સપોર્ટેશન, પરીક્ષાર્થીઓને પેપરનું ડિસ્ટ્રિબ્યુશન અને પરીક્ષા પૂર્ણ થયા બાદ આન્સર શીટ્સના રિવર્સ ટ્રાન્સપોર્ટેશન સુધીની તમામ પ્રક્રિયા માટે ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા અને પ્રોટોકોલ નક્કી કરવામાં આવ્યા છે. પરીક્ષા કેન્દ્રો પર પરીક્ષાર્થીઓનું યોગ્ય રીતે ચેકિંગ થાય અને તેઓ સમયસર પરીક્ષા હોલમાં પ્રવેશ મેળવે તે સુનિચ્છિત કરવામાં આવશે. પરીક્ષામાં કોઈ પણ પ્રકારની ગેરરીતિ, ડમી કેન્ડિડેટ્સ કે અન્ય કોઈ અનિચ્છનીય પ્રવૃત્તિ ન થાય તે માટે ખાસ તકેદારી રાખવા સૂચના અપાઈ છે.પરીક્ષા દરમિયાન સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ કે અન્ય મેસેજિંગ એપ્સ પર કોઈ ભ્રામક માહિતી કે અફવાઓ ન ફેલાય તે માટે સાયબર સેન્ટર ઓફ એક્સલન્સ દ્વારા મોનિટરિંગ રાખવામાં આવી રહ્યું છે. પરીક્ષા કેન્દ્રોની બહાર વાલીઓ અને અન્ય લોકોની ભીડભાડ ન થાય તે માટે રાજ્યના તમામ જિલ્લાઓ અને સિટી યુનિટ્સને ક્રાઉડ મેનેજમેન્ટ અંગે જરૂરી દિશાનિર્દેશો આપવામાં આવ્યા છે.
ગુજરાત પોલીસ તરફથી આજેની પરીક્ષા શાંતિપૂર્ણ, પારદર્શક અને ભયમુક્ત વાતાવરણમાં પૂર્ણ થાય તે માટે તમામ સ્તરે કાયદો અને વ્યવસ્થાની પૂર્વ તૈયારીઓ સુનિશ્ચિત કરાઈ છે.
આગામી પોસ્ટ