
ગાંધીનગર મહાનગરપાલિકાની એસ્ટેટ શાખા દ્વારા શહેરના માર્ગોને સુરક્ષિત અને ટ્રાફિક મુક્ત બનાવવાના હેતુથી આજે સેક્ટર ૬ ના આંતરિક માર્ગો તથા ફૂટપાથ પરથી મોટા પાયે દબાણો હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. આ ઝુંબેશ અંતર્ગત લાંબા સમયથી જાહેર માર્ગો પર ગેરકાયદેસર રીતે ઉભા કરાયેલા ઝૂંપડાઓ અને રાહદારીઓ તેમજ વાહનવ્યવહારને અડચણરૂપ બનતા લારી-ગલ્લાઓ દુર કરીને માર્ગો ખુલ્લા કરાવવામાં આવ્યા છે.
આ સઘન કામગીરી દરમિયાન એસ્ટેટ શાખાની ટીમ દ્વારા સેક્ટર ૬ ના વિવિધ આંતરિક રસ્તાઓ અને ફૂટપાથ પર ગેરકાયદેસર રીતે ઉભા કરાયેલા કુલ ૬૮ જેટલા ઝૂંપડાઓને દુર કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત, રસ્તા પર વાહનવ્યવહારને સીધી રીતે નડતરરૂપ એવા કુલ ૨૩ લારી-ગલ્લાઓના દબાણો પણ હટાવી લેવામાં આવ્યા છે. મહાનગરપાલિકાની ટીમ દ્વારા કાયદો અને વ્યવસ્થાની સંપૂર્ણ જાળવણી સાથે ત્વરિત અને અસરકારક રીતે આ દબાણ હટાવવાની પ્રક્રિયા પાર પાડવામાં આવી હતી જેનાથી સ્થાનિક રસ્તાઓ વધુ મોકળાશવાળા બન્યા છે.
શહેરમાં ટ્રાફિકની સમસ્યા હળવી કરવા અને નાગરિકોને સુગમતા પૂરી પાડવા માટે મહાનગરપાલિકા દ્વારા શરૂ કરાયેલી આ દબાણ હટાવવાની ડ્રાઇવ હાલ સતત જારી રાખવામાં આવી છે. આગામી ભવિષ્યમાં પણ શહેરના અન્ય વિસ્તારોમાં આ જ પ્રકારની કડક ઝુંબેશ યથાવત રહેશે અને ગેરકાયદેસર દબાણ કરનારાઓ સામે નિયમાનુસાર સખત કાર્યવાહી કરવામાં આવશે. મહાનગરપાલિકા શહેરના તમામ નાગરિકો અને વ્યવસાયિકોને જાહેર માર્ગો કે ફૂટપાથ પર કોઈપણ પ્રકારનું દબાણ ન કરવા અને ગાંધીનગરને વ્યવસ્થિત તેમજ ટ્રાફિક મુક્ત રાખવામાં સહકાર આપવા અપીલ કરે છે.