સમાન નાગરિક સંહિતા-યુસીસી બિલ વિધાનસભામાં બહાલ

ગુજરાત વિધાનસભામાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા સમાન નાગરિક સંહિતા-યુસીસી વિધેયકને રજૂ કરાયું હતું. જેને ચર્ચાના અંતે વિધાનસભા ગૃહમાં બહાલી આપવામાં આવી હતી.
વિધાનસભામાં યુસીસી વિધેયકને રજૂ કરનાર ગુજરાત દેશનું બીજું રાજ્ય બન્યું છે. અગાઉ ઉત્તરાખંડ બાદ હવે ગુજરાતમાં સમાન નાગરિક સંહિતા (યુનિફોર્મ સિવિલ કોડ-યુસીસી) લાગુ થશે. સમાન નાગરિક સંહિતા-યુસીસી વિધેયકને કુલ ચાર ભાગમાં તૈયાર કરવામાં આવ્યું છે. ગુજરાત યુસીસી લાગુ કરનારૂ દેશનું બીજું રાજ્ય બનશે. લાંબી ચર્ચાના અંતે વિધાનસભા ગૃહમાં સમાન નાગરિક સંહિતા વિધેયકને બહાલી આપવામાં આવી હતી.
હવે રાજ્યમાં થતા દરેક લગ્નની નોંધણી ફરજિયાત રહેશે :
ગુજરાતમાં હવેથી થતા દરેક લગ્નની નોંધણી કરાવવી ફરજિયાત રહેશે. તેમજ યુસીસીના અમલ અગાઉના લગ્ન માટે પણ નોંધણીની ચોક્કસ પ્રક્રિયા નક્કી કરવામાં આવશે.
યુસીસી વિધેયકમાં સમાન નિયમો લાગુ થશે :
ગુજરાત વિધાનસભામાં રજૂ કરાયેલા યુસીસી વિધેયકમાં લગ્ન, વારસાગત તેમજ અન્ય મુદ્દાઓ માટે સમાન નિયમો લાગુ થશે. તેમજ છેલ્લા કેટલાય સમયથી રાહ જોઇ રહેલી મહિલાઓ આજે મુખ્યમંત્રીને અભિનંદન પાઠવી રહી છે. સમાન નાગરિક સંહિતા- યુસીસી કોઈ એક ધર્મ માટે નહી, પરંતુ સમગ્ર સમાજ માટે સમાન ન્યાય આપતું કાયદારૂપ છે. વડાપ્રધાનના વિઝન મુજબ યુસીસી અમલમાં મુકનાર ગુજરાત દેશનું બીજું રાજ્ય હશે. આ અંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, પક્ષોના ધારાસભ્યો તેઓના વિસ્તારની મહિલાઓના હિત અને અધિકારોને ધ્યાનમાં રાખી બિલને સમર્થન આપશે.
મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, આ યુસીસી કોઈ એક ધર્મ કે સમાજ માટે નહીં, પરંતુ સમગ્ર સમાજ માટે સમાન ન્યાય આપતું કાયદાનું સ્વરૂપ છે. જો કે, આદિવાસી સમાજને આમાંથી મુક્તિ આપવામાં આવી છે.
લગ્ન નોંધણી ન કરાવનારને દંડ થશે :
ગાંધીનગર ખાતે ગત તા. 18 માર્ચના રોજ રાજ્ય મંત્રીમંડળની મળેલી બેઠકમાં સમાન નાગરિક સંહિતા વિધેયકના મુસદ્દામાં કાયદાઓને પારદર્શક બનાવવા માટે મહત્વની જોગવાઈઓ કરવામાં આવી છે. હવે રાજ્યમાં થતા દરેક લગ્નની નોંધણી કરાવવી ફરજિયાત રહેશે. તેમજ જે લગ્ન નોંધણી કરાવવામાં આવ્યા ન હોય તો તેવા લગ્ન અમાન્ય ગણાશે. તેમજ નોંધણી ન કરાવનારના રૂા. 10-25 હજારનો દંડ પણ ભરવો પડી શકે છે. સમાન નાગરિક સંહિતા-યુસીસીના અમલ પહેલા લગ્ન માટેની નોંધણીની ચોક્કસ પ્રક્રિયા નક્કી કરવામાં આવી છે.
વસિયત ન કરી હોય તો સંપત્તિમાં તમામની સમાન અધિકાર :
જો કોઈ પુરુષ વસિયત કર્યા વિના મૃત્યુ પામે તો તેની મિલકતમાં પત્ની, માતા-પિતા, બાળકો સહિતના તમામને સમાન હિસ્સો આપવાની જોગવાઈ કરાઇ છે.
લીવ ઇન રિલેશનશીપની પણ નોંધણી જરૂરી :
ગુજરાતમાં યુસીસીના અમલીકરણ બાદ લીવ ઇન રિલેશનશીપ અંગે નોંધણી કરાવવી ફરજિયાત રહેશે. જો નોંધણી કરાવ્યા વિના 30 દિવસથી વધુ સમયથી લીવ ઇન રિલેશનશીપમાં રહેતા હશે તો ત્રણ મહિનાની જેલ અથવા રૂ. 10 હજાર સુધીનો દંડ કરવામાં આવી શકે છે.
લીવ ઇનમાં જન્મેલા બાળકો કાયદેસર ગણાશે, જો મહિલાને ત્યજી દેવામાં આવે તો તે મહિલા ભરણપોષણને માટે હકદાર રહેશે.
છૂટાછેડા :
ગુજરાતમાં યુસીસીના અમલીકરણ બાદ પરંપરાગત કે અંગત કાયદા હેઠળ છૂટાછેડા માન્ય નહિ ગણાય. ક્રૂરતા, ધર્માંતરણ, અસાધ્ય માનસિક બીમારી કે 7 વર્ષથી ગુમ હોય તેવા કારણોસર છૂટાછેડા માંગી શકાશે. તેમજ પતિ-પત્ની એક વર્ષ કે તેથી વધુ સમયથી અલગ રહેતા હોય તો પરસ્પર સંમતિથી પણ છૂટાછેડા લઈ શકાશે. અદાલત દ્વારા અપાયેલા છૂટાછેડાના હુકમનામાના 60 દિવસમાં રજિસ્ટ્રાર પાસે નોંધણી કરાવવી ફરજિયાત રહેશે.