સરદાર પટેલ સેવા સમાજ દ્વારા 150મી સરદાર જયંતિની ભવ્ય ઉજવણી — રક્તદાન શિબિર, પ્રતિમા અનાવરણ અને પ્રેરણાદાયક સંબોધન

આજે સરદાર પટેલ સેવા સમાજ, સી.જી. રોડ નજીક, દ્વારા લોહપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિ નિમિત્તે ભવ્ય અને પ્રેરણાદાયક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું.
આ અવસરે સમાજ દ્વારા રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું, જેમાં મોટી સંખ્યામાં પુરુષો અને મહિલાઓ ઉત્સાહપૂર્વક જોડાયા. આ રક્તદાન શિબિરમાં ૧૦૧ કરતાં વધુ બ્લડ યુનિટ એકત્રિત કરવામાં આવ્યા, જે માનવતાની ભાવનાને ઉજાગર કરે છે. સાથે સાથે વિદ્યાર્થીઓને શિક્ષણમાં પ્રોત્સાહન આપવા માટે “એજ્યુકેશન એવોર્ડ” પણ વિતરણ કરવામાં આવ્યા.
કાર્યક્રમ દરમિયાન 18 ફૂટ ઊંચી સરદાર પટેલની પ્રતિમાનો અનાવરણ કરવામાં આવ્યો, જે વિવિધ ધાતુઓથી બનેલી છે. આ પ્રતિમા શહેરના હ્રદયસ્થળ સી.જી. રોડ સ્થિત સરદાર પટેલ સમાજ ખાતે સ્થાપિત કરવામાં આવી છે, જેથી અમદાવાદના નાગરિકો સરદાર સાહેબના એકતા, શિસ્ત અને દેશપ્રેમના આદર્શોથી પ્રેરણા મેળવી શકે.
કાર્યક્રમમાં ભૂતપૂર્વ IAS શ્રી ભગ્યેશ ઝા, સુરેન્દ્રકાકા (BJP ખજાનચી અને ભૂતપૂર્વ સાંસદ), દિનેશભાઈ પટેલ (પ્રમુખ), મુકેશ પટેલ (ઉપપ્રમુખ), જયંતિભાઈ પટેલ (ટ્રસ્ટી) તથા અન્ય આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
દિનેશભાઈ પટેલે સ્વાગત ભાષણ આપ્યું અને ભગ્યેશભાઈ ઝાએ પોતાના પ્રેરણાદાયક સંબોધનમાં જણાવ્યું કે —
“સરદાર વિના આપણું સ્વાતંત્ર્ય શક્ય ન હતું. તેમના અખંડ ભારતના સ્વપ્ન અને લોખંડી નેતૃત્વના કારણે જ આપણે એકતાયુક્ત રાષ્ટ્ર મેળવી શક્યા છીએ.”
તેમણે વધુમાં ઉમેર્યું કે —
“આજે આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી ગુજરાતના કેવડિયા કોલોની ખાતે સરદાર પટેલ જયંતિ ઉજવી રહ્યા છે, જે આ દિવસના મહત્ત્વને વધુ ઉજાગર કરે છે.”
કૌશિકભાઈએ સભ્યોને એકતા, શિસ્ત અને સહકારની ભાવના સાથે કાર્ય કરવાની પ્રેરણા આપી.
કાર્યક્રમના અંતે ગીરીશભાઈએ તમામ ઉપસ્થિત મહાનુભાવો, સ્વયંસેવકો તેમજ ઇલેક્ટ્રોનિક અને પ્રિન્ટ મીડિયાના પ્રતિનિધિઓનો વિશેષ આભાર વ્યક્ત કર્યો