
ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી, ગુજરાત રાજ્ય શાખા દ્વારા ‘વિશ્વ રેડ ક્રોસ દિવસ’ તથા ‘વિશ્વ થેલેસેમિયા દિવસ’ના અનુસંધાને અમદાવાદના રેડ ક્રોસ ભવન ખાતેથી રેડ ક્રોસ, ગુજરાતના ચેરમેન અજયભાઈ પટેલ સહિતના મહાનુભાવોના હસ્તે ‘રેડ ક્રોસ રથ’ને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું.
આ વિશેષ રથ આગામી એક વર્ષ દરમિયાન રાજ્યના વિવિધ જિલ્લાઓ અને તાલુકાઓમાં જઈને આરોગ્ય જાગૃતિ, થેલેસેમિયા નિવારણ, સ્વૈચ્છિક રક્તદાન, પ્રાથમિક સારવાર (ફર્સ્ટ એઇડ) અને આપત્તિ વ્યવસ્થાપન જેવી પાયાની માનવતાવાદી સેવાઓ અંગે વ્યાપક જનજાગૃતિ ફેલાવશે.
આ પ્રસંગે ઉપસ્થિત મહાનુભાવોઓએ સંસ્થાના વિવિધ સેવાકીય એકમો જેવા કે- આર્ટિફિશિયલ લિમ્બ સેન્ટર, અત્યાધુનિક ફિઝિયોથેરપી સેન્ટર અને પેથોલોજી લેબોરેટરીની મુલાકાત લીધી હતી. વિશેષ કરીને સિનિયર સિટિઝન હોમ ‘વાત્સલ્ય’ના વડીલો સાથે આત્મીય સંવાદ સાધીને તેમની સુખાકારી વિશે પૃચ્છા કરવામાં આવી હતી.
આ ઉપરાંત, થેલેસેમિયા મેજરથી પીડાતાં બાળકો માટે નિષ્ણાતો દ્વારા એક વિશેષ અવેરનેસ સેમિનાર યોજાયો હતો અને ડિઝાસ્ટર મેનેજમેન્ટ તથા ફર્સ્ટ એઇડ અંગેનું પ્રદર્શન પણ ખુલ્લું મૂકવામાં આવ્યું હતું.
ઉલ્લેખનીય છે કે, રેડ ક્રોસ સંસ્થા ‘માનવતા દ્વારા શાંતિ’ના ધ્યેય મંત્ર સાથે દાયકાઓથી પીડિતોની સેવામાં કાર્યરત છે.
આજે આયોજિત કાર્યક્રમમાં રેડ ક્રોસ, ગુજરાતના વાઇસ ચેરમેન અજયભાઈ દેસાઈ, માનદ ટ્રેઝરર સંજય શાહ અને જનરલ સેક્રેટરી ડૉ. પ્રકાશ પરમાર સહિતના હોદ્દેદારો તથા ‘વાત્સલ્ય’ના વડીલો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.