શ્રી ભાગવત વિદ્યાપીઠ ખાતે પુરૂષોત્તમ માસ દરમિયાન વિવિધ મનોરથોનું આયોજન : શ્રી ભાગવતઋષિ

શ્રી ભાગવત વિદ્યાપીઠમાં સંસ્કૃત તેમજ વેદ-ઉપનિષદોનો અભ્યાસ કરેલા ઋષિકુમારો વિવિધ વિશ્વ વિદ્યાલયોમાં ઉચ્ચપદ ધરાવે છે : પૂ. શ્રી અનંતકૃષ્ણ શાસ્ત્રી
અમદાવાદ, તા. 9 મે 2026 : સોલા ભાગવત વિદ્યાપીઠ ખાતે શ્રીકલ્પતરુ પ્રાસાદ મુખ્ય મંદિરમાં આ વર્ષે અધિકમાસ શ્રી પુરુષોત્તમ માસ નિમિત્તે “અધિકસ્ય અધિકં ફલમ્” શ્રી રસરાજ પ્રભુના વિવિધ મનોરથો તા.17-05-26 થી તા.15-06-26 સુધી અધિક જેઠ સુદ-1 થી અધિક જેઠ વદ-30 અમાસ સુધી વિવિધ મનોરથ-ઉત્સવોનું આયોજન કરવામાં આવ્યું છે. તેમજ ભાગવત વિદ્યાપીઠ ખાતે સંસ્થામાં અભ્યાસ કરતાં ઋષિકુમાર માટે સુંદર રહેવાની વ્યવસ્થા સગવડ સ્વરૂપે આગામી સમયમાં ભવ્ય નૂતન છાત્રાલય ભવનનું નિર્માણકાર્ય હાથ ધરવાનું આયોજન પણ કરવામાં આવ્યું છે.
સોલા ભાગવત વિદ્યાપીઠના મેનેજીંગ ટ્રસ્ટી પૂ. શ્રી ભાગવત ઋષિજીએ જણાવ્યું હતું કે સોલા ભાગવત વિદ્યાપીઠ ખાતે આવતીકાલે તા. 10મી મે. 2026ને રવિવારે સાંજે 7.00 કલાકે વિશ્વવંદનીય પ.પૂ.શ્રીકૃષ્ણશંકર શાસ્ત્રીજી (પૂ.દાદાજી) આદ્યસંસ્થાપક શ્રીભાગવત વિદ્યાપીઠ, શ્રી વલ્લ્ભનિધિ ટ્રસ્ટ, શ્રીકૃષ્ણનિધિ ટ્રસ્ટની 24મી અતિપાવન પુણ્યતિથિ નિમિત્તે ઋષિકુમાર દ્વારા પૂજન-અર્ચન ભાવ વંદના કાર્યક્રમ તેમજ વિખ્યાત વિક્રમ લાબડીયા ગૃપના સંગીતમય સુંદરકાંડનું આયોજન કરવામાં આવ્યું છે. જેનો લાભ મોટી સંખ્યામાં સૌ વૈષ્ણવો-શ્રધ્ધાળુઓ લે તેવી અમારી નમ્રઅપીલ છે.
પૂ. શ્રી ભાગવત ઋષિજીએ વધુમાં જણાવ્યું હતું કે ભગવાન કૃષ્ણએ કહ્યું છે કે અધિક માસને હું મારૂ નામ આપું છું એટલે અધિક માસને પુરુષોત્તમ માસ તરીકે પણ ઓળખવામાં આવે છે. જેથી તા.17-05-26 થી તા.15-06-26 સુધી અધિક જેઠ સુદ-1 થી અધિક જેઠ વદ-30 અમાસ સુધી વિવિધ મનોરથોનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં સંવત્સરોવ,રથયાત્રા, ગોચારણલીલા, વસંતપંચમી, શ્રીનાથજીનું પ્રાગ્ટય, રાધાષ્ટમી-ગોપષ્ટમી, રામનવમી, નાવ મનોરથ, દાનલીલા મનોરથ, પવિત્રા એકાદશ. વામન જંયતિ, મોરકુટી મનોરથ, નૃસિંહ જંયતિ, શરદોત્સવ રાસ, છાક મનોરથ, ગોકુલ-મથુરા, આકાશ ઝુલા, જન્માષ્ટમી મહોત્સવ-નંદ મહોત્સવ, ગુંસાઈજીનો ઉત્સવ, સાવન-ભાદા, મહાપ્રભુજીનો ઉત્સવ, શીશ મહેલ, ગોવર્ધન પૂજા-અન્નકૂટ મનોરથનું આયોજન કરવામાં આવ્યું છે. જેના દર્શનનો લાભ લેવા વ્હાલા ભગવદીય વૈષ્ણવ ભક્તોને અમારુ ભાવભર્યું નિમંત્રણ છે.
પૂ. શ્રી અનંતકૃષ્ણ શાસ્ત્રીએ જણાવ્યું હતું કે શ્રી ભાગવત વિદ્યાપીઠમાં અત્યાર સુધીમાં કુલ પાંચ હજારથી પણ વધુ બ્રાહ્મણના બાળકો (ઋષિકુમારો) સંસ્કૃત તેમજ વેદ-ઉપનિષદોનો અભ્યાસ કરી તૈયાર થયા છે. જેના પરિણામ સ્વરૂપે મહાનગરોની કોન્વેન્ટ-સી.બી.એસ.સી સ્કૂલોમાં અહીંના વિધાર્થીઓ શિક્ષક તરીકે સેવા આપી રહ્યા છે. અહીંથી વિદ્યાઅભ્યાસ કરેલા ઋષિકુમારો ઘણાં ઉત્તમ કથાવાચક, કર્મકાંડી, જયોતિષી, તરીકે સમાજમાં પોતાની સેવા આપી રહ્યા છે. વિવિધ વિશ્વ વિદ્યાલયોમાં અહીંના ઋષિકુમાર ઉચ્ચપદ ધરાવે છે. વિદેશમાં પચાસથી વધુ ઋષિકુમાર હિન્દુ મંદિરમાં પૂજારી (પ્રિસ્ટ) તરીકે સેવા આપી રહ્યા છે. આ સિવાય વર્તમાન સમયમાં સંસ્થામાં વિવિધ પ્રકારના વર્ગો ચાલી રહ્યા છે. જેમાં યોગ,કરાટે, અને દર રવિવારે મુખ્ય ગ્રાઉન્ડમાં સંઘના વર્ગો ચાલી રહ્યા છે. આવનારા સમયમાં ભરતનાટ્યમના વર્ગ પણ શરૂ થવા જઈ રહ્યા છે. શ્રી ભાગવત વિધાપીઠ સંચાલિત શ્રીવરતંતુ સંસ્કૃત મહાવિદ્યાલયમાં ડિપ્લોમાના વર્ગો પ્રત્યેક વર્ષ ઓગસ્ટમાં પ્રારંભ થાય છે.