
અમદાવાદ શહેરમાં સુભાષ બ્રિજને દૂર કરવાની કામગીરીમાં વધુ એક મહત્વપૂર્ણ સફળતા મળી છે. બ્રિજના શાહીબાગ તરફના સ્પાનનું ડિમોલિશન શનિવારે સફળતાપૂર્વક અને સંપૂર્ણ સુરક્ષિત રીતે પૂર્ણ કરવામાં આવ્યું છે. સમગ્ર કામગીરી નિષ્ણાતોની દેખરેખ હેઠળ કોન્ટ્રાક્ટર દ્વારા હાથ ધરવામાં આવી હતી, જેમાં સલામતીને સર્વોચ્ચ પ્રાથમિકતા આપવામાં આવી હતી.
ડિમોલિશનની પ્રક્રિયા દરમિયાન સ્થળ પર સતત મોનિટરિંગ કરવામાં આવ્યું હતું અને અગાઉથી નક્કી કરાયેલા તમામ સલામતી ધોરણો તથા પ્રોટોકોલનું કડક પાલન કરવામાં આવ્યું હતું. પરિણામે સ્પાનને કોઈપણ પ્રકારની અનિચ્છનીય ઘટના વિના સફળતાપૂર્વક ઉતારવાની કામગીરી પૂર્ણ થઈ હતી.
કાર્યગીરી દરમિયાન બ્રિજના સમગ્ર વિસ્તારને બેરિકેડિંગ કરીને પ્રતિબંધિત ઝોન જાહેર કરવામાં આવ્યો હતો. સુરક્ષાના હિતમાં બ્રિજની આસપાસ કોઈપણ વ્યક્તિને પ્રવેશ આપવામાં આવ્યો નહોતો, જેથી ડિમોલિશનની સમગ્ર પ્રક્રિયા સંપૂર્ણ નિયંત્રિત અને સલામત વાતાવરણમાં સંપન્ન થઈ શકે.
શાહીબાગ તરફના સ્પાનનું ડિમોલિશન પૂર્ણ થયા બાદ હવે સ્થળ પરથી કાટમાળ (ડેબ્રીઝ) દૂર કરવાની કામગીરી પણ તાત્કાલિક શરૂ કરી દેવામાં આવી છે. તબક્કાવાર રીતે ચાલી રહેલી આ કામગીરી પૂર્ણ થયા બાદ આગામી કામગીરી પણ નિર્ધારિત આયોજન મુજબ હાથ ધરવામાં આવશે.
*