વાઘ બકરી ટી ગ્રુપે તુષાર ત્રિપાઠીની નવા ગ્રુપ સીઇઓ તરીકે નિમણૂક કરી

દેશના અગ્રણી ચા બ્રાન્ડ વાઘ બકરી ટી ગ્રુપ દ્વારા તુષાર ત્રિપાઠીની ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર (CEO) તરીકે નિમણૂક કરવામાં આવી છે. આ નવી ભૂમિકામાં તેઓ કંપનીના વ્યૂહાત્મક વિકાસ, નવીનતા તથા લાંબા ગાળાની વૃદ્ધિને આગળ ધપાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવશે.
આ પહેલાં તેઓ કંપનીમાં ચીફ ઓપરેટિંગ ઓફિસર (COO) તરીકે કાર્યરત હતા, જ્યાં પ્લાન્ટ, ઉત્પાદન અને પ્રોજેક્ટ્સનું સંચાલન કરતા હતા. તેઓ છેલ્લા 17 વર્ષથી આ ગ્રુપ સાથે જોડાયેલા છે. ઓપરેશન્સ, મેન્યુફેક્ચરિંગ, ક્વોલિટી સિસ્ટમ્સ, સપ્લાય ચેઇન મેનેજમેન્ટ અને બિઝનેસ ટ્રાન્સફોર્મેશન ક્ષેત્રે વિશાળ અનુભવ ધરાવે છે. વાઘ બકરી ગ્રુપમાં તેમના કાર્યકાળ દરમિયાન તેમણે ઓપરેશનલ કાર્યક્ષમતા વધારવામાં, લાંબા ગાળાની વૃદ્ધિમાં અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસમાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું છે.
તેમના મહત્વપૂર્ણ કાર્યમાં ચા ઉદ્યોગમાં પ્રથમ વખત ASRS (ઓટોમેટેડ સ્ટોરેજ એન્ડ રિટ્રીવલ સિસ્ટમ) લાગુ કરવી, વૈશ્વિક ગુણવત્તા અને ફૂડ સેફ્ટી ધોરણો અમલમાં મૂકવા, NABL (નેશનલ એક્રેડિટેશન બોર્ડ ફોર ટેસ્ટિંગ એન્ડ કેલિબ્રેશન લેબોરેટરીઝ) માન્યતા પ્રાપ્ત ક્વોલિટી લેબ સ્થાપિત કરવી તથા ઉત્પાદન અને વિતરણ નેટવર્કનું વિસ્તરણ કરવાનું સમાવેશ થાય છે.
CEO તરીકેની જવાબદારી સંભાળતા તુષાર ત્રિપાઠીએ જણાવ્યું કે, ‘વાઘ બકરી ગ્રુપમાં આ મહત્વપૂર્ણ જવાબદારી મળવી મારા માટે સન્માનરૂપ છે. હું ટીમ સાથે મળીને નવીનતા, કાર્યક્ષમતા અને તમામ હિતધારકો માટે લાંબા ગાળાની વૃદ્ધિ સર્જવા માટે પ્રતિબદ્ધ રહીશ.’
વાઘ બકરી ટી ગ્રુપના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર પારસ દેસાઈએ આ નિમણૂકને આવકારતા જણાવ્યું કે, ‘તુષાર ત્રિપાઠી ઘણા વર્ષોથી અમારી લીડરશિપ ટીમનો અભિન્ન હિસ્સો રહ્યા છે. તેમની ઊંડી ઓપરેશનલ સમજ, પ્રતિબદ્ધતા અને સંતુલિત નેતૃત્વ શૈલી તેમને વાઘ બકરીને વિકાસના આગામી તબક્કામાં આગળ વધારવા માટે આદર્શ પસંદગી બનાવે છે.’
તુષાર ત્રિપાઠી મિકેનિકલ એન્જિનિયરિંગમાં બેચલર ઑફ એન્જિનિયરિંગ (બી.ઈ.)ની ડિગ્રી ધરાવે છે તથા તેમણે અગ્રણી ભારતીય મેનેજમેન્ટ સંસ્થાઓ (આઈઆઈએમ)માં પ્રોજેક્ટ મેનેજમેન્ટ અને લોજિસ્ટિક્સ મેનેજમેન્ટમાં મેનેજમેન્ટ ડેવલપમેન્ટ પ્રોગ્રામ્સ પૂર્ણ કર્યા છે.