રાજ્યભરમાં છેલ્લા ૨૪ કલાક દરમિયાન મેઘરાજાએ જાેરદાર બેટિંગ કરતાં ૧૦૭ તાલુકાઓમાં નોંધપાત્ર વરસાદ વરસ્યો છે. દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને કેટલાક મધ્ય ગુજરાતના વિસ્તારોમાં ભારે વરસાદને કારણે નદીઓ-નાળા છલકાયા છે અને નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સ્થિતિ સર્જાઈ છે. હવામાન વિભાગના આંકડા મુજબ છેલ્લા ૨૪ કલાકમાં સૌથી વધુ વરસાદ સુરત જિલ્લાના પલસાણા તાલુકામાં ૮ ઈંચ નોંધાયો છે. જ્યારે બારડોલી અને ઉમરગામમાં પણ ૮-૮ ઈંચ વરસાદ વરસ્યો છે. સુરતના મહુવામાં ૭.૯૦ ઈંચ અને વાપીમાં ૭.૫૦ ઈંચ વરસાદ નોંધાયો છે. ઉપરાંત માળિયા હાટીનામાં ૭ ઈંચ વરસાદ વરસ્યો છે. અંબિકા વિસ્તારમાં ૬.૫૦ ઈંચ અને સુત્રાપાડામાં ૫.૪૦ ઈંચ વરસાદ નોંધાયો છે. કેશોદ, માંગરોળ અને ઉમરપાડામાં ૫-૫ ઈંચ વરસાદ વરસતા સ્થાનિક વિસ્તારોમાં પાણી ભરાવાની સ્થિતિ જાેવા મળી હતી. પારડી, ભેસાણ અને વાલોડમાં ૪-૪ ઈંચ વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત વ્યારામાં ૪ ઈંચ, પાટણ-વેરાવળ અને લોધિકામાં સાડા ત્રણ ઈંચ વરસાદ વરસ્યો છે. સાગબારામાં પણ સાડા ત્રણ ઈંચ વરસાદ નોંધાયો છે. વલસાડ, ગણદેવી અને નવસારીમાં ૩-૩ ઈંચ વરસાદ નોંધાયો છે.
ખેરગામ અને ગોંડલમાં ૩ ઈંચ તેમજ વાસદામાં અઢી ઈંચ વરસાદ વરસ્યો છે. જલાલપોર, જૂનાગઢ તાલુકો અને જૂનાગઢ શહેરમાં પણ અઢી-અઢી ઈંચ વરસાદ નોંધાયો છે. જ્યારે ક્વાંટ, ચીખલી, ડોલવણ અને બગસરામાં ૨-૨ ઈંચ વરસાદ વરસ્યો છે. રાજ્યના કુલ સાત તાલુકાઓમાં ૬થી ૮ ઈંચ સુધીનો ભારે વરસાદ નોંધાયો છે, જ્યારે ૧૬ તાલુકાઓમાં ૩થી સાડા ૫ ઈંચ સુધી અને અન્ય અનેક તાલુકાઓમાં મધ્યમથી ભારે વરસાદ વરસ્યો છે.
રાજ્યમાં વરસાદે જમાવટ કરી છે. સવારે ૮ વાગ્યાથી ૧૦ વાગ્યા દરમિયાન માત્ર બે કલાકમાં જ રાજ્યના ૩૩ તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે. અનેક વિસ્તારોમાં મધ્યમથી ભારે વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે. હવામાન વિભાગના આંકડા મુજબ સવારે ૮થી ૧૦ વાગ્યા દરમિયાન માળિયા હાટિનામાં સૌથી વધુ ૨.૨૪ ઈંચ વરસાદ નોંધાયો છે. જ્યારે કેશોદ અને તાલાલામાં ૧.૪૨-૧.૪૨ ઈંચ વરસાદ વરસ્યો છે. ઓલપાડમાં ૧.૨૬ ઈંચ અને વાગરામાં ૧.૧૮ ઈંચ વરસાદ નોંધાયો છે. સૌરાષ્ટ્રના વંથલીમાં ૧.૦૨ ઈંચ વરસાદ વરસ્યો છે. જ્યારે કોડીનારમાં ૧૯ મીમી, હાંસોટમાં ૧૫ મીમી, બારડોલીમાં ૧૨ મીમી અને સૂત્રાપાડામાં ૧૧ મીમી વરસાદ નોંધાયો છે.
રાજ્યના વિવિધ જિલ્લાઓમાં વરસાદી ઝાપટાં ચાલુ રહેતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જાેવા મળી રહ્યો છે. બીજી તરફ કેટલાક વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યાઓ પણ સર્જાઈ છે. હવામાન વિભાગે આગામી કલાકોમાં પણ રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ યથાવત રહેવાની સંભાવના વ્યક્ત કરી છે.