ગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર પૂર્ણ..સત્ર દરમિયાન ૯ વિધેયકો, એક સરકારી પ્રસ્તાવ અને ૪ સંકલ્પો ગૃહમાં પસાર

૧૫મી ગુજરાત વિધાનસભાનું આઠમું અને અત્યંત મહત્વનું બજેટ સત્ર ૨૫ માર્ચના રોજ સફળતાથી પૂર્ણ થયું છે. આ સત્ર દરમિયાન રાજ્યના સર્વાંગી વિકાસ માટે અનેક ઐતિહાસિક નિર્ણયો લેવાયા હતા.
આ અંગે સરકારના પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યું હતું કે, ૧૬ ફેબ્રુઆરીથી શરૂ થયેલું આ બજેટ સત્ર ૨૫ માર્ચે પૂર્ણ થયું છે, જેમાં ૨૩ દિવસમાં કુલ ૨૭ બેઠકો યોજાઈ હતી. આ સત્રના પ્રશ્નોત્તરી કાળમાં કુલ ૨૩૭ તારાંકિત પ્રશ્નોની ગૃહમાં ચર્ચા કરવામાં આવી હતી.
વાઘાણીએ જણાવ્યું હતું કે, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ નાણા મંત્રી કનુ દેસાઈએ ૧૮ ફેબ્રુઆરીના રોજ રાજ્યનું રૂ. ૪,૦૮,૦૫૩ કરોડનું વિક્રમી અંદાજપત્ર રજૂ કર્યું હતું, જે ગૃહમાં પારિત થયું છે.
પ્રવક્તા મંત્રીએ જણાવ્યું હતું કે, આ સત્ર અનેક ઐતિહાસિક વિધેયકોનું સાક્ષી બન્યું છે. સત્ર દરમિયાન કુલ ૯ જેટલા મહત્વના વિધેયકો અને સુધારા વિધેયકો ગૃહમાં પસાર કરવામાં આવ્યા છે. જેમાં ‘ગુજરાત સમાન નાગરિક સંહિતા (યુસીસી) ૨૦૨૬ વિધેયક’ એ ગુજરાતનું ઐતિહાસિક વિધેયક બન્યું છે. યુસીસી વિધેયકને જનતાની ભાવનાનું પ્રતિક ગણાવતા મંત્રીએ જણાવ્યું હતું કે, ૧૯૫૨માં કરાયેલા એક સંકલ્પ અને વિચારને સાકાર કરાયો છે.
આ ઉપરાંત અન્ય મહત્વના પસાર થયેલા વિધેયકોનો ઉલ્લેખ કરતા મંત્રીએ કહ્યું કે, આ સત્ર દરમિયાન ગુજરાત અશાંત વિસ્તારો (સુધારા) વિધેયક પસાર કરીને સ્થાવર મિલકતની તબદીલી અને ભાડૂતોને રક્ષણ આપવા માટે મહત્વપૂર્ણ સુધારો કરાયો છે.
ગુજરાત આતંકવાદ અને સંગઠિત ગુના નિયંત્રણ (GUJCTOC) સુધારા વિધેયક, ગુજરાત ચિકિત્સા સંસ્થાઓ રજિસ્ટ્રેશન અને નિયમન સુધારા વિધેયક, ગુજરાત શૈક્ષણિક સંસ્થા સેવા ટ્રિબ્યુનલ સુધારા વિધેયક, ગુજરાત દુકાન અને સંસ્થા (રોજગાર નિયમન અને સેવાની શરતો) સુધારા વિધેયક, સૌરાષ્ટ્ર ઘરખેડ, ગણોત વહીવટ પતાવટ અને ખેતીની જમીન (ગુજરાત સુધારા) વિધેયક સહિત કુલ ૯ વિધેયક પસાર કરાયા છે.
તેમણે વધુમાં કહ્યું હતું કે, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નિયમ ૧૨૦ હેઠળ ‘વંદે માતરમ’ના ૧૫૦ વર્ષ પૂર્ણ થવાના અવસરે રાષ્ટ્રીય એકતાનો સંકલ્પ રજૂ કર્યો હતો. આ ઉપરાંત ગૃહમાં ગુજરાત સ્પોર્ટ્સ સ્ટાર્ટઅપ કોન્ક્લેવ, સોમનાથ સ્વાભિમાન પર્વ – ૧૦૦૦ વર્ષનો ઇતિહાસ રિજિનલ વાઇબ્રન્ટ ગુજરાત અને વિકસિત ભારત જી રામ જી જેવા જનજાગૃતિના સંકલ્પો પણ રજૂ કરાયા હતા.