આજે જામા મસ્જિદ વિવાદમાં સંત સમાજે રેલી કાઢીને કલેક્ટરને આવેદન પત્ર આપ્યું છે. ઐતિહાસિક ધરોહરની જાળવણીની માંગ સાથે સંતો અને સમર્થકો ભરૂચમાં એકત્ર થયા છે. તો આ સંવેદનશીલ સ્થિતિ પર નજર રાખવા માટે કાયદો અને વ્યવસ્થા જાળવવા પોલીસનો ચુસ્ત બંદોબસ્ત કરવામાં આવ્યો છે.
ભરૂચની જામા મસ્જિદને લઈને ચાલી રહેલા વિવાદ વચ્ચે આજે સંત સમાજ દ્વારા રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. સંત સમાજનો દાવો છે કે, આ સ્થળ સાથે જૈન પરંપરાનો ઐતિહાસિક સંબંધ છે અને તેમાં રહેલી ધરોહરની નિયમો મુજબ જાળવણી થવી જાેઈએ. સંત સમાજ આજે હોસ્ટેલ ગ્રાઉન્ડથી રેલી સ્વરૂપે કલેક્ટર કચેરી સુધી પહોંચીને જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે. આ આવેદનમાં ઐતિહાસિક ધરોહરની સંરક્ષણ અને જાળવણી માટે જરૂરી પગલાં લેવા માંગ કરવામાં આવશે.
રેલીને ધ્યાનમાં રાખીને જિલ્લા વહીવટી તંત્ર અને પોલીસ વિભાગ એલર્ટ મોડ પર છે. કાયદો અને વ્યવસ્થાની જાળવણી માટે શહેરના સંવેદનશીલ વિસ્તારો સહિત જામા મસ્જિદ પરિસરમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. આ રેલીમાં ભાગ લેવા માટે ભરૂચ બહારથી પણ મોટી સંખ્યામાં સંતો અને સમર્થકો આ રેલીમાં પહોંચ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે.
સ્વામી મુક્તાનંદના નેતૃત્વ હેઠળ યોજાનારી આ રેલી પર સમગ્ર જિલ્લાના લોકોની નજર મંડાયેલી છે. વહીવટી તંત્ર દ્વારા તમામ પક્ષોને શાંતિ અને સૌહાર્દ જાળવવા અપીલ કરવામાં આવી છે. મામલો ઐતિહાસિક અને ધાર્મિક સંવેદનાઓ સાથે જાેડાયેલો હોવાથી તંત્ર પરિસ્થિતિ પર સતત નજર રાખી રહ્યું છે.
જૈન સંતના જણાવ્યા મુજબ, ઇતિહાસમાં ઉલ્લેખ મળે છે કે લંકાની એક રાજકુમારીએ ભરૂચમાં ભવ્ય જૈન તીર્થનું નિર્માણ કરાવ્યું હતું, જેને સમડી વિહાર તરીકે ઓળખવામાં આવતું હતું. આ સ્થળ સાથે જાેડાયેલા અનેક ઐતિહાસિક પુરાવા અને માન્યતાઓ આજે પણ જૈન સાહિત્યમાં જાેવા મળે છે. સંતે સ્થળના ભોંયરાનું નિરીક્ષણ કરવાની માંગ કરી હતી, પરંતુ તેમને ત્યાં જવાની મંજૂરી આપવામાં આવી ન હોવાનું જણાવાયું છે. આ મુદ્દે તેમણે પ્રશ્ન ઉઠાવ્યો છે કે જાે સ્થળ અંગે કોઈ શંકા ન હોય તો તપાસ અને નિરીક્ષણમાં અવરોધ કેમ ઉભો કરવામાં આવે છે.
આગામી પોસ્ટ