
સુરત જિલ્લાના બારડોલી તાલુકામાંથી એક અત્યંત હૃદયદ્રાવક અને કાળજું કંપાવી દેનારી ઘટના સામે આવી છે.બારડોલીના ઉવા ગામ નજીક હાઇવે પર બે લક્ઝરી બસ અને એક ટ્રેક્ટર વચ્ચે સર્જાયેલા ત્રિપલ અકસ્માતમાં ૭ લોકોના દર્દનાક મોત નીપજ્યા છે. જ્યારે ૧૫થી વધુ મુસાફરો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે.પોલીસે ઘટના સ્થળે પહોંચીને તપાસ હાથ ધરી છે.
ઉવા ગામ નજીકથી પસાર થઈ રહેલી બે બસ અને એક ટ્રેક્ટર વચ્ચે કોઈ કારણોસર જાેરદાર ટક્કર થઈ હતી.અકસ્માત એટલો ભયાનક હતો કે ટક્કર થતાંની સાથે જ એક બસમાં અચાનક ભીષણ આગ ભભૂકી ઉઠી હતી.જાેતજાેતામાં આગે આખી બસને લપેટમાં લઈ લીધી હતી.બસમાં સવાર મુસાફરોમાંથી ૭ લોકોના આગને કારણે મોત નિપજ્યા હતાં.સમગ્ર ઘટનાને લઈને હાઈવે પર ચીચીયારીઓ ગુંજી હતી.ઘટનાની જાણ થતાં જ બારડોલી પોલીસનો કાફલો અને ફાયર બ્રિગેડની ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગઈ હતી. ક્રેન દ્વારા બસને સાઈડ કરવા અને મુસાફરોને બચાવવા માટેની કામગીરી શરૂ કરવામાં આવી છે. આ અકસ્માતમાં ઈજા પામેલા ૧૫ જેટલા ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર અર્થે બારડોલીની નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.પોલીસે મૃતકોની ઓળખ વિધિ હાથ ધરીને અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.સુત્રોના જણાવ્યા પ્રમાણે બંને બસો મહારાષ્ટ્રની હોવાનું જાણવા મળ્યું છે. અકસ્માતના કારણે હાઈવે પર લાંબો ટ્રાફિક જામ સર્જાયો છે. ઘટના સ્થળે એમ્બ્યુલન્સ પણ પહોંચી છે. મોતનો આંકડો વધવાની આશંકા છે. મહારાષ્ટ્રના નંદુરબારથી આ બસો સુરત આવી રહી હતી. ત્યાર બાદ તે ફરી નંદુરબાર તરફ જવાની હતી.