અમદાવાદ શહેરના વિવિધ ચાર રસ્તાઓ પર ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રદેશ મહામંત્રી રાજેશ ટી. સોની દ્વારા પ્રશ્નાર્થ બેનરો લગાવવામાં આવ્યા છે. આ બેનરોનો મુખ્ય ઉદ્દેશ જાહેર જીવન સાથે જોડાયેલા કલાકારોના જાહેર વલણ અંગે એક પ્રશ્ન સમાજ સમક્ષ મૂકવાનો છે.
બેનરોમાં પૂછવામાં આવ્યું છે કે, “તમે માયાભાઈ આહિરના સમર્થનમાં છો કે તેમના પ્રજાનું અપમાન કરતું નિવેદનના સમર્થનમાં છો?”
રાજેશ ટી. સોનીએ જણાવ્યું કે, જો કોઈ જાહેર વ્યક્તિ દ્વારા એવું નિવેદન કરવામાં આવે જે સામાન્ય નાગરિકોના સ્વાભિમાનને ઠેસ પહોંચાડતું હોય, તો તેના સમર્થનમાં ઊભા રહેતા પહેલા સમાજ સામે પોતાનું વલણ સ્પષ્ટ કરવું જરૂરી બને છે.
તેમણે વધુમાં જણાવ્યું કે, જ્યારે ખેડૂતોના પ્રશ્નોને લઈને હકાબા ગઢવીએ અવાજ ઉઠાવ્યો અને ખેડૂતોના હિત માટે લડત આપી, ત્યારે આ જ કલાકારોમાંથી કોઈપણ ખુલ્લેઆમ તેમના સમર્થનમાં આવ્યું નહોતું. પરંતુ પ્રજામાં ભારે ચર્ચા જગાવનાર વિવાદાસ્પદ નિવેદન બાદ અનેક કલાકારો માયાભાઈ આહિરના સમર્થનમાં આગળ આવ્યા.
રાજેશ ટી. સોનીએ પ્રશ્ન ઉઠાવ્યો કે, શું કલાકારો માત્ર વ્યક્તિના સમર્થનમાં છે કે પછી એવા નિવેદનોનું પણ સમર્થન કરે છે, જેને કારણે સામાન્ય પ્રજાની લાગણી દુભાય છે? જો ખેડૂતોના પ્રશ્નો, સામાન્ય નાગરિકોના પ્રશ્નો અને લોકહિતના મુદ્દાઓ પર મૌન રાખવામાં આવે, પરંતુ વિવાદાસ્પદ નિવેદનોના સમર્થનમાં જાહેરમાં આગળ આવવામાં આવે, તો સમાજને આ અંગે વિચારવાની જરૂર છે.
તેમણે સ્પષ્ટ કર્યું કે, આ બેનરોનો હેતુ કોઈ વ્યક્તિગત વિરોધ કરવાનો નથી, પરંતુ જાહેર જીવનમાં રહેલા લોકોની સામાજિક જવાબદારી અંગે ચર્ચા ઊભી કરવાનો છે. લોકપ્રિયતા સાથે જવાબદારી પણ જોડાયેલી હોય છે અને સમાજના પ્રશ્નો સામે પણ એટલી જ સંવેદનશીલતા દેખાવી જોઈએ.