
ગુજરાતમાં આજથી નવી સહકારી આધારિત ‘ભારત ટેક્સી’ સેવાનો સત્તાવાર પ્રારંભ કરવામાં આવ્યો છે. કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહના હસ્તે આ સેવાનો શુભારંભ કરવામાં આવ્યો હતો. રાજ્યના ૧૪ શહેરોમાં એકસાથે શરૂ થયેલી આ સેવા ડ્રાઇવરોને આર્થિક રીતે સશક્ત બનાવવાના ઉદ્દેશ સાથે શરૂ કરવામાં આવી છે.
ભારત ટેક્સી સેવાની શરૂઆત અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, મહેસાણા, આણંદ, જૂનાગઢ, જામનગર અને ભાવનગર સહિત રાજ્યના વિવિધ શહેરોમાં કરવામાં આવી છે. આ પ્રસંગે રાજ્યભરના ૪ હજારથી વધુ સારથીઓ (ડ્રાઇવરો) ઉપસ્થિત રહ્યા હતા.
ભારત ટેક્સીનું સૌથી મોટું આકર્ષણ એ છે કે તેમાં ટેક્સી ચલાવનાર સારથી જ પોતાના વાહનનો માલિક હશે. ઉપરાંત, આ મોડલમાં ડ્રાઇવરો પાસેથી કોઈ કમિશન લેવામાં આવશે નહીં. એટલે કે, ડ્રાઇવરને મળતું ભાડું સંપૂર્ણપણે તેના ખાતામાં જમા થશે. “ઝીરો ટકા કમિશન અને ૧૦૦ ટકા કમાણી”ના સૂત્ર સાથે શરૂ કરાયેલી આ સેવા હાલની એપ આધારિત ટેક્સી સેવાઓ માટે પડકારરૂપ બની શકે છે.
કાર્યક્રમ દરમિયાન વિવિધ સંસ્થાઓ વચ્ચે સમજૂતી કરારો (સ્ર્ેં) પર પણ હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. સહકારી મોડલ પર આધારિત આ પહેલથી રાજ્યના લાખો ડ્રાઇવરોને સીધો લાભ મળશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી છે.
ભારત ટેક્સી સાથે જાેડાયેલા સારથીઓએ જણાવ્યું હતું કે, અન્ય ખાનગી કંપનીઓમાં કમિશન કપાઈ જતાં તેમની આવક પર અસર થતી હતી, જ્યારે ભારત ટેક્સીમાં કોઈપણ પ્રકારનું કમિશન કાપવામાં આવતું નથી અને ભાડાની રકમ સીધી ડ્રાઇવરને મળે છે. આ ઉપરાંત, મહિલા મુસાફરોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને મહિલા ગ્રાહકોને મહિલા સારથી પસંદ કરવાનો વિકલ્પ પણ આપવામાં આવશે. જેના કારણે મહિલાઓ માટે મુસાફરી વધુ સુરક્ષિત અને અનુકૂળ બનશે.
ગુજરાતમાં હાલમાં ૧.૫ લાખથી વધુ સારથીઓ જાેડાયેલા હોવાનું જણાવવામાં આવ્યું છે. સહકારી ક્ષેત્રની આ નવી પહેલ રાજ્યના પરિવહન ક્ષેત્રમાં મહત્વપૂર્ણ પરિવર્તન લાવશે તેવી અપેક્ષા વ્યક્ત કરવામાં આવી રહી છે. ગુજરાતમાં ‘ભારત ટેક્સી’ સેવાના શુભારંભ પ્રસંગે કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે જણાવ્યું હતું કે, આજના સમયમાં ટેક્સીની જરૂરિયાત ઘર-ઘર સુધી પહોંચી ગઈ છે અને તેના વ્યાપમાં સતત વધારો થઈ રહ્યો છે. તેમણે કહ્યું કે, ગુજરાતીઓ પહેલાથી જ પૈસાનું મૂલ્ય સારી રીતે સમજે છે અને સહકારી મોડલ પર શરૂ થયેલી ભારત ટેક્સી સેવા સારથીઓ માટે નવી આશા બની રહેશે.
અમિત શાહે જણાવ્યું હતું કે, હવે માત્ર કાર જ નહીં પરંતુ રિક્ષાની પણ ટેક્સી તરીકે ગણતરી થશે. ભારત ટેક્સીમાં ફોર-વ્હીલર, ટુ-વ્હીલર અને થ્રી-વ્હીલર તમામ પ્રકારના વાહનોનો સમાવેશ કરવામાં આવ્યો છે, જેથી વધુમાં વધુ સારથીઓ આ પહેલ સાથે જાેડાઈ શકે.
તેમણે ભારપૂર્વક જણાવ્યું કે, “અમે ડ્રાઈવરને માત્ર ડ્રાઈવર નહીં પરંતુ સારથી માનીએ છીએ.” છેલ્લા કેટલાક વર્ષોમાં કેટલીક ખાનગી કંપનીઓ દ્વારા સારથીઓનું શોષણ થયું હોવાની ફરિયાદો સામે આવી હતી. કેટલીક કંપનીઓ ભાડાની યોગ્ય રકમ આપતી નહતી, જ્યારે કેટલીક કંપનીઓ ડ્રાઈવરોની રજૂઆતો સાંભળવા પણ તૈયાર નહતી.
અમિત શાહે કહ્યું કે, ભારત ટેક્સી હેઠળ સારથીઓ અને ગ્રાહકો બંનેનું શોષણ નહીં થાય. આ સેવા સહકારી મોડલ પર આધારિત હોવાથી સારથીઓને સુરક્ષા, સન્માન અને સમૃદ્ધિ મળશે. તેમણે ઉમેર્યું કે સારથીઓનું સન્માન થવું જાેઈએ અને આ જ ભાવના સાથે ભારત ટેક્સીની શરૂઆત કરવામાં આવી છે.