કોંગ્રેસના બેરોજગારીના આરોપો બાદ ભાજપનો પ્રત્યુત્તર
બેરોજગારીના આક્ષેપો તથ્યવિહીન,ગેરમાર્ગે દોરનાર અને રાજકીય એજન્ડાથી પ્રેરિત, વાસ્તવમાં સમસ્યા આંકડાઓમાં નહીં પણ વિપક્ષની માનસિકતામાં- ડૉ. અનિલ પટેલ

રાજ્યમાં બેરોજગારી સંદર્ભના કોંગ્રેસના બેબુનિયાદ આક્ષેપ બાબતે ભાજપા પ્રદેશ મુખ્ય પ્રવક્તા ડૉ. અનિલ પટેલે પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે આ આક્ષેપો બેબુનિયાદ, તથ્યવિહીન,ગેરમાર્ગે દોરનાર અને રાજકીય એજન્ડાથી પ્રેરિત છે. ગુજરાતમાં બેરોજગારીનો દર ફક્ત 1.1% છે. ગુજરાત એક સમૃદ્ધ રાજ્ય છે. ગુજરાતની માટીમાં જ વેપાર અને સાહસ, અહીંનું કલ્ચર માત્ર રોજગારી મેળવવાનું નથી, પણ હજારો હાથોને કામ આપવાનું છે. ગુજરાતનો યુવાન આજે સાબિત કરી રહ્યો છે કે તે ‘જોબ સીકર’ નહીં, પણ આત્મનિર્ભર ‘જોબ ગીવર’ છે.
ડૉ. અનિલ પટેલે વધુ વિગતો આપતા જણાવ્યું હતું કે ગુજરાત દેશના સૌથી મોટા ઔદ્યોગિક રાજ્યોમાંનું એક છે. સમગ્ર દેશમાંથી લોકો રોજગારી મેળવવા ગુજરાતમાં આવે છે. રાજ્ય સરકારના શ્રમ અને રોજગાર વિભાગે 7 હજારથી વધુ ભરતી મેળાના આયોજન થકી 8 લાખથી વધુ યુવાનોને રોજગારી આપી છે. જયારે છેલ્લા પાંચ વર્ષમાં રોજગાર કચેરીઓ દ્વારા 15 લાખથી વધુ ઉમેદવારોને રોજગારી આપવામાં આવી છે.
ગુજરાતના યુવાનોને રોજગારી આપવા તથા નોકરીદાતાઓને તેમની જરૂરીયાત મુજબનું માનવબળ પૂરૂ પાડવા ઓનલાઈન વ્યવસ્થાના ભાગરૂપે ‘અનુબંધમ’ વેબપોર્ટલ વિકસાવવામાં આવેલ છે. આ વેબપોર્ટલ નોકરીદાતા અને રોજગારવાંચ્છુ વચ્ચે સેતુરૂપ કામગીરી કરે છે. હાલમાં, ‘અનુબંધમ’ વેબ પોર્ટલ પર કુલ ચાર લાખ એંશી હજાર થી વધુ ઉમેદવારો તથા ચોપ્પન હજાર થી વધુ નોકરીદાતાઓ નોંધાયેલા છે. આ ઉપરાંત ગુજરાત ગૌણ સેવામાં ૫૬૬૦ જેટલી અને પોલીસ વિભાગમાં પણ ૧૨ હજારથી વધુ જગ્યાઓની બમ્પર ભરતી રાજ્ય સરકાર દ્વારા મંજૂર કરવામાં આવી છે. રાજ્યની રોજગાર વિનિમય કચેરીઓ દ્વારા રોજગારી પૂરી પાડવામાં ગુજરાત રાજ્ય વર્ષ ૨૦૦૨ થી સમગ્ર દેશમાં પ્રથમ ક્રમાંકે છે.
ડૉ. પટેલે ઉમેર્યું હતું કે World Bank અને DPIIT રેન્કિંગમાં ગુજરાત ટોપ રાજ્યોમાં સ્થાન પામે છે. સ્ટાર્ટઅપ ક્ષેત્રે ભારત સમગ્ર વિશ્વમાં ૩જો ક્રમાંક ધરાવે છે. દેશમાં ૧.૬૪ લાખથી વધુ સ્ટાર્ટઅપ અને તેમાં પણ ૧૨૫ કરતા વધુ યુનિકોર્ન સ્ટાર્ટઅપ નોંધાયા છે, જે ૨૧ લાખથી વધુ લોકોને રોજગારી આપી રહ્યા છે. ગુજરાત પણ સ્ટાર્ટઅપ હબ તરીકે ઊભરતું રાજ્ય બન્યું છે. રાજ્યની ભાજપા સરકારે અનેક યોજનાઓ અમલમાં મૂકીને યુવાનોને આર્થિક રીતે પગભર કરવાનું કામ કર્યું છે. ઈ-શ્રમ પોર્ટલ પર બિનસંગઠિત ક્ષેત્રનાં ૧.૧૯ કરોડ કામદારો રજીસ્ટર્ડ થયેલા છે. Udyam પોર્ટલ પર રજીસ્ટ્રેશન થયેલ MSMEs ની સંખ્યા 37.56 લાખ છે. અહીં એ પણ નોંધવું જરૂરી છે કે એક MSME ઓછામાં ઓછા ૫ થી ૧૦ લોકોને રોજગારી આપે છે. આ સેક્ટર દ્વારા ઓછામાં ઓછી 1 કરોડ લોકોને રોજગારી મળી રહી છે. ફક્ત છેલ્લા પાંચ જ વર્ષમાં આ ક્ષેત્રે ₹86,518 કરોડનું રોકાણ થયું છે. 40,000 જેટલી ફેક્ટરીઓમાં 23.5 લાખ કર્મચારીઓ રોજગારી મેળવી રહ્યા છે. સેન્ટર ફોર મોનીટરીંગ ઇન્ડિયન ઈકોનોમી(CMIE) ના રેકોર્ડ પ્રમાણે દેશમાં 88 લાખ લોકોને રોજગારી મળી છે સાથે સાથે મેન્યુફેક્ચરિંગ સેન્ટરમાં 30 લાખ રોજગારીનું સર્જન થયું છે. સરકાર દ્વારા સ્કીલ ઈન્ડિયા, આઈ.ટી.આઈ., કૌશલ્ય વર્ધન કેન્દ્રના માધ્યમથી યુવાનોને સમયની માંગ અનુસાર વ્યવસાયિક રીતે સુસજ્જ કરવામાં આવી રહ્યા છે.
ડૉ પટેલે કોંગ્રેસને જ પ્રશ્નો કર્યા હતા કે જો ગુજરાતમાં રોજગાર નથી,તો લોકો અહીં કામ માટે કેમ આવે છે?,ઉદ્યોગપતિઓ ગુજરાતને જ કેમ પસંદ કરે છે?,બેરોજગારી દર ઓછો કેમ છે?
વાસ્તવમાં સમસ્યા આંકડાઓમાં નથી પણ વિપક્ષની માનસિકતામાં છે.