
કેન્દ્રીય ચૂંટણી પંચે ગુજરાત સહિત કુલ 12 રાજ્યો માટે મતદારયાદીની ખાસ સઘન સુધારણા ઝુંબેશનું સમય પત્રક જાહેર કર્યું. જેને લઈને અમદાવાદ જિલ્લા ચૂંટણી અધિકારી તથા કલેકટર સુજીતકુમારના અધ્યક્ષસ્થાને રાજકીય પાર્ટીના પ્રતિનિધિઓ સાથે બેઠક યોજાઈ હતી. જેમાં સમગ્ર પ્રક્રિયા સાથે રાજકીય પક્ષોને માહિતગાર કરીને સહકાર આપવા માટે કહેવાયું હતું.
બેઠકમાં અમદાવાદ જિલ્લાના અધિક જિલ્લા ચૂંટણી અધિકારીશ્રીએ રાજકીય પક્ષના પ્રતિનિધિઓને પ્રેઝન્ટેશન રજૂ કરીને મતદાર યાદીની ખાસ સઘન સુધારણા ઝુંબેશ બાબતે જાણકારી આપી હતી. જેમાં SIRના વિવિધ તબક્કાઓ અનુસાર 4 નવેમ્બરથી 4 ડિસેમ્બર દરમિયાન બૂથ લેવલ ઓફિસર્સ ઘરે-ઘરે ફરીને મતદારો પાસે એન્યુમરેશન ફોર્મ ભરાવશે. ત્યારબાદ 9 ડિસેમ્બરના રોજ હંગામી મતદારયાદી પ્રસિદ્ધ કરવામાં આવશે. જેમાં 9 ડિસેમ્બરથી 8 જાન્યુઆરી સુધી સુધારા માટેનો દાવો મતદારો કરી શકશે. જેમાં 31 જાન્યુઆરી સુધી દાવાઓની સુનાવણી તથા ચકાસણી કરાશે. આ સમગ્ર પ્રક્રિયાના અંતે 7 ફેબ્રુઆરી, 2026ના રોજ આખરી મતદારયાદી પ્રસિદ્ધ કરવામાં આવશે.SIRની મતદાર યાદીમાં મતદારો તેમના નામ સહિતની વિગતો ચકાસી શકશે. મતદાર તરીકે સમાવેશ માટે ભારતીય પાસપોર્ટ અને જન્મના પ્રમાણપત્ર સહિતના વિવિધ 12 દસ્તાવેજો માન્ય ગણાશે. મતદારયાદીની ખાસ સઘન સુધારણાની આ પ્રક્રિયામાં મહિલાઓ, અશક્ત નાગરીકો, દિવ્યાંગો અને વડીલોને સુવિધા રહે તે હેતુથી સ્વયંસેવક જૂથોની મદદ પણ લેવામાં આવશે. જિલ્લા ચૂંટણી અધિકારીએ રાજકીયપક્ષોને BLOની કામગીરીમાં સહયોગ આપવા અપીલ કરી હતી.SIR બાબતે જિલ્લામાં ERO અને AERO માટે તાલીમ આપવામાં આવી છે તેમજ 1થી 3 નવેમ્બર સુધીમાં તમામ BLO-સુપરવાઈઝર, BLO અને BLAની તાલીમ તમામ વિધાનસભા મતવિભાગમાં પૂર્ણ કરવામાં આવશે. આ બેઠકમાં ભારતીય જનતા પાર્ટી, ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ, આમ આદમી પાર્ટી, બહુજન સમાજ પાર્ટીના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા.