વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિઝનરી નેતૃત્વ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રપટેલના મક્કમ નિર્ધાર હેઠળ પસાર થયેલું UCC બિલ ‘એક રાષ્ટ્ર, એક કાયદો’ના સંકલ્પને સાકાર કરવા તરફ ગુજરાતનું મક્કમ ડગલુંઃ જગદીશ વિશ્વકર્મા

ગુજરાત પ્રદેશ ભાજપા મીડિયા વિભાગની અખબારી યાદી જણાવે છે કે, યુનિફોર્મ સિવિલ કોડ બિલ ગુજરાત વિધાનસભામાં પસાર થવા પર પ્રતિક્રિયા આપતા ભાજપા પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માએ જણાવ્યું હતું કે, દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માર્ગદર્શનમાં ભારતીય જનતા પાર્ટીની ભૂપેન્દ્ર પટેલની સરકારે ગુજરાતમાં UCC દ્વારા ‘એક રાષ્ટ્ર, એક કાયદો’ ના સંકલ્પને સાકાર કરવા તરફ મક્કમ ડગલું માંડ્યું છે. આ દિવસ ગુજરાત અને ગુજરાતની માતૃશક્તિ માટે ઐતિહાસિક દિવસ છે. તેમણે કહ્યું કે, હાલ, લગ્ન, વારસાઈ, ઉત્તરાધિકાર, દત્તક વિધાન, છૂટાછેડા, જમીન-મકાન વારસાઈ, વાલીપણું જેવી બાબતો માટે ધર્મ, જ્ઞાતિ, સંપ્રદાય અને સાંસ્કૃતિક માન્યતા અનુસાર અલગ-અલગ કાયદાઓ અસ્તિત્વમાં છે. UCC લાગુ થવાથી આ વિસંગતતા હવે દૂર થવાની છે.
શ્રી વિશ્વકર્માએ કહ્યું કે, યુનિફોર્મ સિવિલ કોડ કોઈ અચાનક લેવાયેલો નિર્ણય નથી. આ સતત સંઘર્ષ, ત્યાગ અને પરિશ્રમ સાથે વૈચારિક અધિષ્ઠાનને વળગી રહેવાનું પરિણામ છે. જનસંઘની સ્થાપના બાદ ૧૯૫૨ની પ્રથમ કારોબારીમાં કલમ ૩૭૦ ની નાબૂદી સાથે કાશ્મીરનું ભારતમાં એકીકરણ, અયોધ્યામાં ભવ્ય રામ મંદિરનું નિર્માણ અને સમાન નાગરિક સંહિતા એટલે કે યુનિફોર્મ સિવિલ કોડ અંગે ઠરાવ કરવામાં આવ્યો હતો. કલમ ૩૭૦ નાબૂદ થઇ ચૂકી છે, અયોધ્યામાં ભવ્ય રામમંદિર બની ચૂક્યું છે અને આજે ગુજરાત મુખ્યમંત્રીના નેતૃત્વમાં યુનિફોર્મ સિવિલ કોડ લાવનાર ઉતરાખંડ પછી બીજું રાજ્ય બન્યું છે.
તેઓએ ભારપૂર્વક જણાવ્યું કે, ભાજપ ‘રાષ્ટ્ર પ્રથમ’ની ભાવના સાથે કામ કરે છે જ્યારે કોંગ્રેસ અને અન્ય વિપક્ષો હંમેશા તુષ્ટિકરણની રાજનીતિમાં રચ્યાપચ્યા રહ્યા છે. દાયકાઓ સુધી વિપક્ષે માત્ર વોટબેંક ખાતર UCCનો વિરોધ કર્યો અને દેશને વિભાજિત રાખવાના પ્રયત્નો કર્યા. જે લોકો કહેતા હતા કે ‘રામ મંદિર ક્યારેય નહીં બને’ કે ‘કલમ ૩૭૦ હટશે તો લોહીની નદીઓ વહેશે’, આજે તેમની બોલતી બંધ થઈ ગઈ છે. ફરી એક વખત પુરવાર થયું છે કે, નીતિ સાફ હોય અને નિયત અટલ હોય તો એ કાર્યને કોઈ અટકાવી શકતું નથી. UCC જાતિ, ધર્મ કે પંથના ભેદભાવ વગર દરેક નાગરિકને સમાન અધિકાર આપે છે. UCC સામાજિક ન્યાય અને સમાનતા માટેનું માઈલસ્ટોન છે. આ ‘રાષ્ટ્ર પ્રથમ’ ના મંત્રની જીત છે.
શ્રી વિશ્વકર્માએ જણાવ્યું કે, વડાપ્રધાનના વિઝનરી નેતૃત્વ અને મુખ્યમંત્રી ના મક્કમ નિર્ધારને કારણે આ શક્ય બન્યું છે. જે સંકલ્પ ભાજપાએ જનતા સમક્ષ કર્યો હતો, તે આજે પૂર્ણ કર્યો છે. વિધાનસભામાં UCC પસાર કરીને ભારતીય જનતા પાર્ટીની સરકારે સાબિત કર્યું છે કે ભાજપાની સરકાર ‘સબકા સાથ, સબકા વિકાસ અને સબકા ન્યાય’ માં માને છે. ભારતીય જનતા પાર્ટીની ગુજરાત સરકારે બંધારણની કલમ ૪૪ ના આદેશનું પાલન કર્યું છે અને પ્રગતિશીલ ભારતનો પાયો મજબૂત કર્યો છે.
તેમણે કહ્યું કે, જનસંઘના સંકલ્પ, ભાજપાની પ્રતિબદ્ધતા અને પ્રધાનમંત્રીના નેતૃત્વમાં ભારત આજે એક નવી દિશામાં આગળ વધી રહ્યું છે. તેઓએ ગુજરાત ભાજપા તરફથી
મુખ્યમંત્રી સહિત સમગ્ર ગુજરાત સરકારને યુનિફોર્મ સિવિલ કોડના ઐતિહાસિક નિર્ણય બદલ અભિનંદન પાઠવ્યા હતાં.