કુમકુમ મંદિર ખાતે શ્રી ગોપાળાનંદ સ્વામીના ૨૧૮માં દીક્ષાદિનની ઉજવણી કરવામાં આવી.
શ્રી ગોપાળાનંદ સ્વામીનું પ્રાગટ્ય સાબરકાંઠાના ટોડલા ગામે થયું હતું.

સપનાં” અને “આપણાં” ગમે ત્યારે બદલાઈ જાય છે, તેથી ભગવાન અને સંતો સાથે જોડાવવાની જરૂર છે.- સાધુ પ્રેમવત્સલદાસજી કુમકુમ
શ્રી સ્વામિનારાયણ મંદિર – કુમકુમ – ખાતે શ્રી ગોપાળાનંદ સ્વામીના ૨૧૮માં દીક્ષાદિનની ઉજવણી કરવામાં આવી હતી.
આ પ્રસંગે સત્સંગ સભા યોજવામાં આવી હતી.
કુમકુમ મંદિરના મોટીવેશનલ સ્પીકર સાધુ પ્રેમવત્સલદાસજીએ આ પ્રસંગે સત્સંગ સભામાં આ દુનિયાની વાસ્તવિકતા જણાવતાં કહ્યું કે, જીવનમાં આપણે આખો દિવસ બધાને રાજી કરવા માટે દોડીએ છીએ. પરંતુ સાથે – સાથે ભગવાન અને સંતોને પણ યાદ કરવાની જરુર છે. સપનાં અને આપણાં ક્યારે બદલાઈ જાય તે નક્કી નથી. તેને બદલાતા વાર પણ નથી લાગતી. તમારા મોબાઈલમાં અનેક નામ – નંબર હશે, પણ જ્યારે ખરા સમયે જરુર પડે ત્યારે તેમને કોલ કરજો. કેટલા કામ લાગે છે ? કોણ આવીને ઉભા રહે છે ? તેની ખબર પડી જશે.
તેથી વ્યવહારમાં સારાં થવા માટે દોડવા કરતાં ભગવાન અને સંતો મારા થાય એ માટે દોડવાની જરુર છે. એટલે કે, ભગવાન માટે અને સંતોના સમાગમ માટે આપણે સમય કાઢીશું, તો એ ખરા સમયે આવીને ઉભા રહેશે. આપણી રક્ષા કરશે. ભગવદ્ ધામની પ્રાપ્તિ એ જ કરાવશે.
શ્રી સ્વામિનારાયણ ભગવાનની અને શ્રી ગોપાળાનંદ સ્વામીની સાથે આપણે જોડાઈ જઈશું તો આપણું કામ થઈ જશે. શાસ્ત્રોમાં ઘણા બધા પ્રસંગો આજે જોવા મળે છે કે,શ્રી ગોપાળાનંદ સ્વામીએ અનેક દુઃખીયાઓને સુખીયા કર્યા છે. આજે પણ રાજકોટમાં કાંટા વિનાની બોરડી જોવા મળે છે. કાંટા વિનાની બોરડી ક્યારેય હોય નહિ, પરંતુ શ્રી ગોપાળાનંદ સ્વામીના મુખમાંથી શબ્દો સર્યા તો બોરડીએ પોતાના કાંટા ખેરવી નાંખ્યા… આવા સમર્થ શ્રી ગોપાળાનંદ સ્વામીના ર૧૮મા દીક્ષાદિને આપણે તેમના ચરણોમાં કોટી કોટી વંદન કરીએ અને તેમણે આપેલા ઉપદેશને જીવનમાં ઉતારીને સુખિયા થઈએ.