ભારત સરકારે એનડીડીબીના ચેરમેન તરીકે ડૉ. મીનેશ શાહનો કાર્યકાળ સાડા ત્રણ વર્ષ માટે લંબાવ્યો

ભારત સરકારે એનડીડીબીના ચેરમેન તરીકે ડૉ. મીનેશ શાહનો કાર્યકાળ સાડા ત્રણ વર્ષ માટે લંબાવ્યો છે. સરકારનો આ નિર્ણય ડેરી અને તેના સંલગ્ન ક્ષેત્રોમાં ડૉ. મીનેશ શાહના અસાધારણ નેતૃત્ત્વ અને નોંધપાત્ર યોગદાનને દર્શાવે છે.
ડૉ. મીનેશ શાહ ભારતની અગ્રણી વિકાસલક્ષી સહકારી સંસ્થાઓમાંથી એકનું નેતૃત્વ કરી રહ્યાં છે, જે ગ્રામ્ય પશુપાલકોના જીવનને સુધારવા માટે તેમની અડગ કટિબદ્ધતાને દર્શાવે છે. તેઓ એનડીડીબીની મુખ્ય સહાયક કંપનીઓના અધ્યક્ષ પણ છે: મધર ડેરી ફ્રૂટ એન્ડ વેજીટેબલ પ્રાઇવેટ લિમિટેડ (એમડીએફવીપીએલ), આઈડીએમસી લિમિટેડ, ઇન્ડિયન ઇમ્યુનોલોજિકલ્સ લિમિટેડ (આઇઆઇએલ), એનડીડીબી ડેરી સર્વિસિઝ (એનડીએસ), એનડીડીબી મૃદા લિમિટેડ અને એનડીડીબી કાફ લિમિટેડ. તેઓ નેશનલ કૉઑપરેટિવ ડેરી ફેડરેશન ઑફ ઇન્ડિયા (એનસીડીએફઆઈ), નેશનલ કૉઑપરેટિવ ઑર્ગેનિક્સ લિમિટેડ (એનસીઓએલ), એનિમલ બ્રીડિંગ રીસર્ચ ઓર્ગેનાઇઝેશન, આનંદાલય એજ્યુકેશન સોસાયટી, એનડીડીબી ફાઉન્ડેશન ફૉર ન્યુટ્રિશન (એનએફએન)ના અધ્યક્ષ તરીકે અને વિવિધ અગ્રણી સંસ્થાઓના સંચાલક મંડળના સભ્ય તરીકે પણ સેવા આપી રહ્યાં છે. ડૉ. મીનેશ શાહ ઇન્ટરનેશનલ ડેરી ફેડરેશન (આઇડીએફ)ના બૉર્ડ ઑફ ડિરેક્ટર્સના સભ્ય અને આઇડીએફની ઇન્ડિયન નેશનલ કમિટીના સભ્ય સચિવ પણ છે.
છેલ્લાં ચાર દાયકામાં ડૉ. મીનેશ શાહે ભારતના ડેરી ક્ષેત્રની કાયાપલટને સ્થિતિસ્થાપકતા, વૈશ્વિક નેતૃત્વ અને સર્વસમાવેશક વિકાસની દિશામાં દોર્યું છે. નવીનીકરણ પરના તેમના ફૉકસને પરિણામે સ્થાયી પ્રગતિ થઈ શકી છે, સંચાલનની કાર્યક્ષમતામાં વધારો થયો છે અને પશુપાલકોનું જીવનધોરણ સુધર્યું છે. કૃષિના વિકાસ અને ગ્રામીણ સમૃદ્ધિને પ્રોત્સાહન આપવા માટેની તેમની કટિબદ્ધતા ખરેખર પ્રશંસનીય છે.