વૈશ્વિક સ્થિતિને કારણે દેશમાં ઊભી થયેલી સ્થિતિને જોતાં રાજ્યમાં પેટ્રોલ, ડીઝલ અને જીવનજરૂરી ચીજવસ્તુઓનો પુરવઠો જળવાઈ રહે તે માટે સરકારે ઉચ્ચસ્તરીય સમિતિની રચના કરી છે.

મુખ્ય સચિવના અધ્યક્ષસ્થાને રાજ્ય કક્ષાની અને કલેક્ટરના નેતૃત્વમાં જિલ્લા કક્ષાની સમિતિઓની જાહેરાત કરવામાં આવી છે. રાજ્ય કક્ષાની આ સમિતિ મુખ્ય સચિવના અધ્યક્ષપદે કાર્યરત રહેશે, જેમાં વિવિધ વિભાગોના વરિષ્ઠ સચિવોનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ સમિતિનું પ્રાથમિક કાર્ય રાજ્યભરમાં પેટ્રોલ, ડીઝલ, એલપીજી, પીએનજી અને અનાજ જેવા પદાર્થોની ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવાનું રહેશે. આ ઉપરાંત, જરૂરિયાત મુજબ આંતર-જિલ્લા સ્તરે જથ્થાની ફાળવણી અને હેરફેર માટે આ સમિતિ સીધા દિશાનિર્દેશો આપશે.
સરકાર દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે હોસ્પિટલો, જાહેર પરિવહન અને સસ્તા અનાજની દુકાનો (PDS) જેવા અતિ આવશ્યક સેવાકીય ક્ષેત્રોમાં પુરવઠો જરા પણ ખોરવાય નહીં તેનું ખાસ ધ્યાન રાખવામાં આવશે. જિલ્લા કક્ષાએ કલેક્ટર, જિલ્લા વિકાસ અધિકારી અને પોલીસ અધિક્ષકની બનેલી સમિતિ સ્થાનિક સ્તરે નજર રાખશે. દરેક જિલ્લામાં સ્પેશિયલ કંટ્રોલ રૂમ શરૂ કરવામાં આવશે, જે નિયત સમયે રાજ્ય કક્ષાએ રિપોર્ટિંગ કરશે.