
“તારીખ પે તારીખ”ની જેમ GCAS માં પ્રવેશ પ્રક્રિયામાં “રાઉન્ડ પે રાઉન્ડ” જેવી પરિસ્થિતિ છે, વિદ્યાર્થીઓને મજબૂરીમાં હારી થાકીને ખાનગી યુનિવર્સિટીમાં પ્રવેશ લેવાની ફરજ પડી છે : ડૉ. ઇન્દ્રવિજયસિંહ ગોહિલ
• ૯ સપ્ટેમ્બરથી રાજકોટ ખાતે શિક્ષણ બચાવો અભિયાન હેઠળ ધરણા પ્રદર્શન દ્વારા સરકારી યુનિવર્સિટીના ભ્રષ્ટાચાર સામેની લડાઈને વેગ મળે અને ત્યારબાદ દક્ષિણ ગુજરાતના સુરત અને ઉત્તર ગુજરાતના પાટણમાં વિરોધ પ્રદર્શનના કાર્યક્રમ યોજવામાં આવશે : ડૉ. ઇન્દ્રવિજયસિંહ ગોહિલ
• સરકારી યુનિવર્સિટી સામેના આંદોલન પાર્ટ-૧ છે ત્યાર બાદ પાર્ટ-૨માં ૧૨૫ થી વધુ ખાનગી યુનિવર્સિટીની સામે મોરચો ખોલવામાં આવશે. ખાનગી યુનિવર્સિટીમાં લાખો રૂપિયાની ફી ઉઘરાવે તેમાં ની કેટલીક યુનિવર્સિટી ભૂતિયા ચાલે છે : ડૉ. ઇન્દ્રવિજયસિંહ ગોહિલ
• 8 સપ્ટેમ્બરના રોજ ગાંધીનગર ખાતે “જન સત્યાગ્રહ”માં વિદ્યાર્થીઓ, યુવાનો, મહિલાઓ, વેપારીઓ, ખેડૂતો સહિત સહુને જોડાવવા અપીલ કરીએ છે : ડૉ. ઇન્દ્રવિજયસિંહ ગોહિલ
રાજીવ ગાંધી ભવન ખાતે પ્રેસ કોન્ફરન્સને સંબોધતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના કાર્યકારી પ્રમુખ અને પૂર્વ સિન્ડિકેટ સભ્ય ડૉ ઇન્દ્રવિજયસિંહ ગોહિલએ જણાવ્યું હતું કે “શિક્ષણ બચાવો અભિયાન” હેઠળ ગુજરાત રાજ્યની વિવિધ સરકારી યુનિવર્સિટીના મુખ્યમથકથી પ્રેસ કોન્ફરન્સના માધ્યમથી ગુજરાત કોંગ્રેસના શિક્ષણ જોડે સંકળાયેલા પૂર્વ સિન્ડિકેટ, સેનેટ સભ્ય કોંગ્રેસી આગેવાનોએ રાજ્યમાં શિક્ષણમાં થયેલ ભ્રષ્ટાચાર, ગેરરીતિ અને ગોલમાલને ઉજાગર કર્યા હતા. GCAS દ્વારા સરકારી યુનિવર્સિટીમાં પ્રવેશ પ્રક્રિયાના માધ્યમથી ગુજરાતના ગરીબ મધ્યમ વર્ગના વિધાર્થીઓને ખાનગી યુનિવર્સિટી તરફ વાળવાનો મોટો કારસો રચાયો છે. જેમ ચલચિત્રમાં એક ડાયલૉગના ઉપયોગ થયો હતોકે “તારીખ પે તારીખ”ની જેમ GCAS માં પ્રવેશ પ્રક્રિયામાં “રાઉન્ડ પે રાઉન્ડ” જેવી પરિસ્થિતિ છે. GCAS દ્વારા ૩૦-૩૦ રાઉન્ડ છતાં પણ પ્રવેશ પૂર્ણ ના થાય જ્યારે ગુજરાતની ૧૨૫થી વધુ ખાનગી યુનિવર્સિટી અને અમદાવાદની આશરે ૩૦ ખાનગી યુનિવર્સિટીની હાટડીઓને ફાયદો થાય છે અને વિધાર્થીઓને ૪ મહિના સુધી પ્રવેશ ના મળતા મજબૂરીમાં હારી થાકીને ખાનગી યુનિવર્સિટીમાં પ્રવેશ લેવાની ફરજ પડી છે. કોંગ્રેસની માંગ છેકે કાંતો ખાનગી યુનિવર્સિટીના પ્રવેશમાં GCAS દાખલ કરો નહીં તો સરકારી યુનિવર્સિટીને GCASના ચુંગલમાંથી મુક્ત કરો. ગુજરાતમાં સરકારી યુનિવર્સિટીમાં કોમન એકટના કાળા કાયદાથી સરકારમાં બેઠેલ મળતિયાનો કરોડો અબજોની દાનમાં મળેલ જમીનો વેચવાનો પરવાનો મળ્યો છે. યુનિવર્સિટીની જમીનો પર કોર્પોરેટ હાઉસ બનાવી ખાનગી કંપનીઓના હવાલે કરવાના કિસ્સા સામે આવ્યા છે, જેમાંથી માનીતાઓને લાખોના પગારની લહાણી કરવામાં આવે છે. ૧૦ વર્ષ પેહલા બનેલ ગોવિંદ ગુરુ યુનિવર્સિટી અને ભક્ત નરસિંહ મેહતા યુનિવર્સિટીમાં પૂરતા ઈન્ફ્રાસ્ટ્રક્ચર વ્યવસ્થા ઉભી કરવામાં સરકાર નિષ્ફળ રહી છે. ગુજરાતની સરકારી યુનિવર્સિટીમાં ૪૫ થી ૫૦% જેટલી જગ્યાઓ ટીચિંગ અને નોન ટીચિંગની ખાલી પડી છે. ભાવનગર યુનિવર્સિટીમાં ભ્રષ્ટાચારીઓને છાવરવામાં આવે અને ભ્રષ્ટાચાર સામે લડનાર NSUIના વિધાર્થીઓને ખોટા કેસ કરીને જેલ મોકલવામાં આવે તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે. સરકારી યુનિવર્સિટીના ભ્રષ્ટાચાર, ગેરરીતિ અને ગોલમાલ સામેના આંદોલન પાર્ટ-૧ છે ત્યાર બાદ પાર્ટ-૨માં ૧૨૫ થી વધુ ખાનગી યુનિવર્સિટીની સામે મોરચો ખોલવામાં આવશે. ખાનગી યુનિવર્સિટીમાં લાખો રૂપિયાની ફી ઉઘરાવે તેમાં ની કેટલીક યુનિવર્સિટી ભૂતિયા ચાલે છે. આવનારા સપ્તાહમાં તારીખ ૯ સપ્ટેમ્બરથી રાજકોટ ખાતે શિક્ષણ બચાવો અભિયાન હેઠળ ધરણા પ્રદર્શન દ્વારા સરકારી યુનિવર્સિટીના ભ્રષ્ટાચાર સામેની લડાઈને વેગ મળે અને ત્યારબાદ દક્ષિણ ગુજરાતના સુરત અને ઉત્તર ગુજરાતના પાટણમાં વિરોધ પ્રદર્શનના કાર્યક્રમ યોજવામાં આવશે.
પ્રેસ કોન્ફરન્સના માધ્યમથી ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના કાર્યકારી પ્રમુખ ડો. ઇન્દ્રવિજયસિંહ ગોહિલ દ્વારા ગુજરાતના યુવાનો અને વિદ્યાર્થીઓને આવનારી 8 સપ્ટેમ્બરના રોજ ગાંધીનગર ખાતે “જન સત્યાગ્રહ”માં મોટી સંખ્યામાં જોડાવા અપીલ કરવામાં આવી હતી. દારૂ જુગાર અને ડ્રગની વધતી બદી વિરુદ્ધ અને પ્રદેશમાં ધોળા દિવસે બનતા હત્યા, લૂંટ બળાત્કાર જેવા ગંભીર ગુનાખોરી વિરુદ્ધ ગુજરાત કોંગ્રેસ દ્વારા કથળતી કાયદો વ્યવસ્થા સામે “જન સત્યાગ્રહ”નો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. સરકારમાં ખાલી જગ્યાએ ભરતી, ખેડૂતોના હક્ક, અધિકારના મુદ્દે, કોન્ટ્રાક્ટ, ફિક્સ પે, આઉટસોર્સિંગના શોષણ વિરુદ્ધ હલ્લાબોલના કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. વોટ ચોરો સામે અવાજ બુલંદ કરવા પ્રદેશના યુવાનો, મહિલાઓ, વેપારીઓ, ખેડૂતો સહિત સહુને “જન સત્યાગ્રહ”માં જોડાવવા અપીલ કરીએ છે.
આજની પ્રેસ કોન્ફરન્સમાં ગુજરાત પ્રદેશ સમિતિના મહામંત્રી અને પ્રવક્તા ડો હિમાંશુભાઈ પટેલ, મુખ્ય પ્રવક્તા ડો. મનીષ દોશી અને યુવા કોંગ્રેસના મહામંત્રી ડો. પ્રવીણ વણોલ ઉપસ્થિત રહ્યા હતા.