આમ આદમી પાર્ટીના પ્રદેશ મુખ્ય પ્રવક્તા ડૉ.કરન બારોટે એક વીડિયોના માધ્યમથી અત્યંત ગંભીર મુદ્દા પર પોતાની વાત રજૂ કરતા જણાવ્યું હતું કે, આજે બગોદરામાં એક સામૂહિક આત્મહત્યાની ઘટના ઘટી છે. એક જ પરિવારના પાંચ લોકોએ ઝેરી દવા પીને આત્મહત્યા કરી છે. આ ખૂબ જ દુઃખદ ઘટના છે અને આ ઘટના પર અમે શોક વ્યક્ત કરીએ છીએ. હવે સવાલ પૂછવાનો સમય આવી ગયો છે કે ગુજરાતમાં શું થઈ રહ્યું છે? કારણ કે ભાજપના શાસનમાં ફક્ત છેલ્લા ત્રણ વર્ષમાં 25000 લોકોએ આત્મહત્યા કરી છે. છેલ્લા 15 મહિનામાં 17 પરિવારોએ આર્થિક સંકળામણના કારણે આત્મહત્યા કરી છે. આ આત્મહત્યાની ઘટનાઓને ઝઘડામાં ફેરવી દેવામાં આવે છે. પરંતુ હકીકત એ છે કે આ આત્મહત્યાઓ આર્થિક સંકળામણના કારણે થઈ હોય છે. આજે દેશમાં એવી હાલત છે કે દેશના ટોપ 10% લોકો પાસે દેશની 60% સંપત્તિ છે. ભાજપના રાજમાં અમીરો અમીર બનતા જાય છે ગરીબો વધુ ગરીબ બનતા જાય છે અને જેના કારણે અમીર અને ગરીબ વચ્ચેનો ભેદ વધ્યો છે.
મારો સવાલ છે કે ગુજરાતના લોકોનો આત્મા ક્યારે જ જાગશે? ક્યારે આપણે જોઇશું કે ગરીબ અને મધ્યમ વર્ગ ભાજપના રાજમાં દિવસેને દિવસે વધુને વધુ પીસાઈ રહ્યો છે. ભાજપને આજે ફક્ત ભાજપના લોકો જ દેખાઈ રહ્યા છે. બંધારણમાં કહેવામાં આવ્યું છે કે અમે ભારતના લોકો, પરંતુ ભાજપના લોકો માને છે કે ભાજપ અને ભાજપના લોકો. હું ભાજપને કહેવા માંગીશ કે તમે ગુજરાતની જનતાનું ધ્યાન નથી રાખી શકતા, તમે ગુજરાતની જનતાને આર્થિક રીતે મજબૂત નથી બનાવી શકતા, પરંતુ હવે ગુજરાતની જનતા જાગી ગઈ છે અને આગામી સમયમાં ગુજરાતની જનતા ભારતીય જનતા પાર્ટીની સરકારને જાકારો આપશે અને ગુજરાતમાં આર્થિક સમાનતા લાવનાર અને તમામ લોકોને સમાન મહત્વ આપનાર આમ આદમી પાર્ટીને હવે લોકો ચૂંટશે.