
આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ 2 દિવસના ગુજરાત પ્રવાસ પર છે, ગઇકાલે સાંજે રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર અરવિંદ કેજરીવાલજીનું આગમન થયું હતું. એરપોર્ટ પર આમ આદમી પાર્ટીના વિસાવદર વિધાનસભાના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા, કિસાન સેલના ગુજરાત પ્રદેશ પ્રમુખ રાજુ કરપડા, પ્રદેશ સંગઠન મંત્રી અજીત લોખીલ, ટ્રેડ વિંગના પ્રદેશ પ્રમુખ શિવલાલ બારસિયા અને રાજકોટ શહેર પ્રમુખ દિનેશ જોશી સહિત આમ આદમી પાર્ટીના પદાધિકારી અને કાર્યકર્તાઓએ અરવિંદ કેજરીવાલજીનું ખુબ જ ઉત્સાહભેર સ્વાગત કર્યું હતું. કાલે 7 સપ્ટેમ્બરે ચોટીલામાં થનાર ખેડૂત મહાપંચાયતામાં ભાગ લેવા માટે અરવિંદ કેજરીવાલજી આજે ગુજરાત પધાર્યા છે. કપાસ પર આયાત વેરો હટાવવાના વિરોધમાં આયોજિત ખેડૂત મહાપંચાયતમાં કાલે અરવિંદ કેજરીવાલજી પોતાની હાજરી આપશે અને ખેડૂતો સાથે મુલાકાત કરશે.
એરપોર્ટ પર આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય નેતા અરવિંદ કેજરીવાલજીએ મીડિયાની સાથે એક સંવાદ પણ કર્યો હતો. અરવિંદ કેજરીવાલએ મીડિયા સમક્ષ પોતાની વાત રજુ કરતા કહ્યું હતું કે હું 2 દિવસના પ્રવાસ પર ગુજરાત આવ્યો છું. કાલે ચોટીલામાં યોજાયેલી ખેડૂત મહાપંચાયતમાં હું ભાગ લઈશ. ચોરી-છૂપીથી કેન્દ્રની મોદી સરકારે કપાસ ખેડૂતો સાથે દગો કર્યો છે. અમેરિકાથી આવતી કપાસ પર આયાત ટેક્સ હટાવવાનો નિર્ણય ખેડૂતોને આત્મહત્યા કરવા માટે મજબૂર કરશે. આ તે વિસ્તાર છે જ્યાં સૌથી વધુ કપાસ ઉગાડવામાં આવે છે, તો કાલે કપાસના ખેડૂતો સાથે અમે મુલાકાત કરીશું. એક તરફ સરકારે અમેરિકન કપાસ પરનો આયાત વેરો હટાવી દીધો અને બીજી તરફ અમેરિકાએ ભારત પર ટેરિફ લગાવી દીધો, જેના કારણે દેશનો હીરા ઉદ્યોગ તહસ-નહસ થઇ ગયો. બાદમાં કેજરીવાલજીએ કહ્યું કે વોટ ચોરીનો મુદ્દો એ અસલી મુદ્દો છે.