ગુજરાત

ગુજરાતની મતદારયાદીમાં ચૂંટણી પંચના SIR દ્વારા પ્રાથમિક કમી કરાયેલા મતદારોના આંકડાઓએ કોંગ્રેસના વોટચોરીના આક્ષેપને સાચો ઠેરવ્યો.

  • તા. 30 ઓગસ્ટ, 2025 ના રોજ કોંગ્રેસે જાહેર કર્યું હતું કે ગુજરાતમાં 60 લાખ વોટની ચોરી થયેલ છે. ભાજપ અને ચૂંટણી પંચ નકારી રહ્યા હતા, પરંતુ હવે ચૂંટણી પંચે સ્વીકાર્યું છે કે કુલ 5.08 કરોડ મતદારોમાંથી 14.61% – એટલે 74 લાખથી વધુ નામો – મૃત, ડુપ્લિકેટ અથવા સ્થળાંતરિત છે :

શ્રી અમિત ચાવડા

  • ચૂંટણીપંચના તાજેતરના આંકડાઓ ઉપરથી સાબિત થાય છે કે 2002થી આજ સુધી ગુજરાતમાં ભાજપની દરેક જીતમાં આશરે 14% વોટચોરીનો મોટો ફાળો છે : શ્રી અમિત ચાવડા
  • ચૂંટણી પંચની સાંઠગાંઠથી વોટ ચોરી થકી ચૂંટણીઓ જીતીને ભાજપે દેશમાં લોકશાહી ખતમ થઈ જાય તેવા સંજોગો ઉભા કર્યા છે : શ્રી અમિત ચાવડા
  • ગુજરાતમાંથી 10 લાખથી વધુ લોકોએ “વોટ ચોર, ગાદી છોડ” સહી ઝુંબેશમાં ભાગ લઈને લોકશાહી બચાવવાની માંગણીને સમર્થન આપ્યું છે : શ્રી અમિત ચાવડા
  • લોકશાહી બચાવવા માટે દેશભરમાંથી એકત્રિત થયેલી કરોડો સહીઓ સાથે 14 ડિસેમ્બરે દિલ્હી રામલીલા મેદાન ખાતે યોજાનારી ઐતિહાસિક “વોટ ચોર, ગાદી છોડ” મહારેલીમાં વોટચોરોને ખુલ્લા પાડવા અને ગાદી છોડાવવાના અડગ સંકલ્પને સમર્થન આપવા આહવાહન છે : શ્રી અમિત ચાવડા

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી અમિતભાઈ ચાવડાએ રાજીવ ગાંધી ભવન ખાતે પત્રકાર વાર્તાને સંબોધતા જણાવ્યું હતું કે, દેશના બંધારણે દરેક નાગરિકને એક વ્યક્તિ એક વોટનો અધિકાર આપ્યો છે, જે માત્ર મતાધિકાર નથી પરંતુ આ દેશની લોકશાહીનું રક્ષણ કરવાની જવાબદારી પણ છે. છેલ્લા કેટલાય વર્ષોથી ચૂંટણી પંચની નિષ્પક્ષતા, તટસ્થતા અને પારદર્શિતા પર ગંભીર સવાલો ઊઠતા આવ્યા છે. અનેક પુરાવાઓ સામે આવ્યા છતાં કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી.

આદરણીય રાહુલ ગાંધીજીએ જે રીતે આખા દેશના મનમાં રહેલી ચૂંટણી પ્રક્રિયા સંબંધિત શંકાઓને પુરાવા સાથે ઉજાગર કરી, વોટચોરીના નેક્સસને ખુલ્લું પાડ્યું, તે લોકશાહી માટે ઐતિહાસિક ક્ષણ છે. 7 ઓગસ્ટ 2025ની તેમની પ્રથમ પ્રેસ કોન્ફરન્સમાં કર્ણાટકમાં થયેલી વોટચોરીના તથ્યો રજૂ કર્યા, પરંતુ ચૂંટણી પંચ ચૂપ રહ્યું. બીજી તરફ, સરકાર અને ભાજપના નેતાઓ ખોટા આક્ષેપો કરીને વિમુખ કરવાનો પ્રયાસ કરતા રહ્યા. 5 નવેમ્બર 2025ની બીજી પ્રેસ કોન્ફરન્સમાં હરિયાણાની મતદાર યાદીમાં વિદેશી અભિનેત્રીના ફોટા સાથે 22 વખત નામ નોંધાયેલાનું ખુલાસા થયા, હજારો ખોટા મતદારો મળી આવ્યા—તે આખા દેશમાં હાઈડ્રોજન બોમ્બ સમાન સાબિત થયું છતાં ચૂંટણી પંચ ફરી પણ ચૂપ.

ગુજરાતમાં પણ વોટચોરીને લઈને પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા ગંભીર કામ થયું. નવસારી લોકસભા (કે જેમાંથી ચૂંટાઈને સી.આર. પાટીલ આજે કેન્દ્રના મંત્રી છે) ના ચોર્યાસી વિધાનસભા વિસ્તારના 40% મતદારોની ચકાસણી કરતા 12% મતદારો ખોટા કે શંકાસ્પદ હોવાનું બહાર આવ્યું. રાજ્યભરમાં આ રેશિયો પ્રમાણે 60 લાખથી વધારે ખોટા મતદારો હોવાની તા. 30 ઓગસ્ટ, 2025 ના રોજ અમારી રજૂઆતને ભાજપ અને ચૂંટણીપંચ સતત નકારી રહ્યા હતા. આજે ખુદ ચૂંટણી પંચે સ્વિકાર્યું છે કે, એસઆઇઆર પ્રક્રિયામાં કુલ 5,08,43,436 મતદારો પૈકી 14.61% એટલે 74 લાખથી વધારે મતદારો અહિ હયાત નથી, મૃત્યુ પામેલા છે, ડુપ્લિકેટ છે અથવા સ્થળાંતરિત છે તેવું જાહેર કરીને અમારા મુદ્દાને સાચો સાબિત કર્યું છે. આનો સ્પષ્ટ અર્થ છે કે ગુજરાતમાં 2002થી અત્યાર સુધીની ભાજપ દ્વારા જીતેલી દરેક ચૂંટણીમાં 14% જેટલી વોટચોરી થઈ છે.

એસઆઇઆરની પ્રક્રિયામાં તૈયારીના અભાવ, બીએલઓ પર રાજકીય દબાણ અને માનસિક ત્રાસના કારણે રાજ્યમાં 9 જેટલા બીએલઓના કરુણ મોત થયા. તેમ છતાં ચૂંટણી પંચ પોતાની ભૂલો ઢાંકવાની કોશિશમાં છે. બીજી બાજુ વિદેશમાં રહેતા, નાગરિકતા બદલી ચૂકેલા લોકોના મતદારો યાદીમાં યથાવત્ છે, જે ફોર્મ કોઇ બીજા લોકો ભરીને જમા કરાવતા હોવાના સ્પષ્ટ પુરાવા છે. ડુપ્લિકેટ વોટર્સની યાદી જાહેર કરવાની અમારી માંગ આજે પણ અધૂરી છે.

દેશની સંસદમાં પણ ચૂંટણી પંચની પારદર્શિતા અને કાનૂની રક્ષણ બાબતે ગંભીર ચર્ચા થઈ, છતાં સરકાર કોઈ સંતોષકારક જવાબ આપી શકી નથી. દેશની જનતાનો પ્રશ્ન છે કે શું કારણ છે કે ચીફ જસ્ટિસને ચૂંટણી કમિશનરના પસંદગી પેનલમાંથી દૂર કર્યા? શું કામ ચૂંટણી પંચને અતિશય કાનૂની સુરક્ષા આપવામાં આવી? સીસીટીવી ફૂટેજ 45 દિવસમાં શા માટે ડિલીટ કરવામાં આવે છે? આ બધું આજનું સૌથી મોટું રાજકીય-લોકશાહી સવાલ છે.

વોટચોરીના આ નેક્સસ સામે સમગ્ર દેશમાં એક જ નારો ગુંજાયો—“વોટ ચોર, ગાદી છોડ”. આ લોકઆંદોલનને વધુ મજબૂત બનાવવા માટે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ દ્વારા શરૂ કરાયેલ “વોટ ચોર, ગાદી છોડ” સહી ઝુંબેશે ગુજરાત સહિત દેશભરમાં વ્યાપક પ્રતિસાદ મેળવ્યો છે. માત્ર ગુજરાતમાંથી 10 લાખથી વધુ લોકોએ આ ઝુંબેશમાં ભાગ લઈને લોકશાહી બચાવવાની માંગણીને સમર્થન આપ્યું છે. દેશભરમાં કરોડો સહીઓ એકત્રિત થઈ છે, જેને 14 ડિસેમ્બરે દિલ્હી ખાતે યોજાનારી ઐતિહાસિક “વોટ ચોર, ગાદી છોડ” મહારેલીમાં ચૂંટણી પંચને સુપરત કરવામાં આવશે.

દિલ્હીના રામલીલા મેદાન ખાતે તા. 14 ડિસેમ્બર રવિવારના રોજ બપોરે 1 કલાકે યોજાનારી આ મહારેલીમાં કોંગ્રેસ પક્ષના રાષ્ટ્રીય અધ્યક્ષ આદરણીયશ્રી મલ્લિકાર્જુન ખડગે સાહેબ, સમગ્ર દેશમાં વોટચોરીને ઉજાગર કરનાર જનનાયક શ્રી રાહુલ ગાંધીજી, સંગઠન મહામંત્રીશ્રી કે.સી. વેણુગોપાલજી તથા તમામ વરિષ્ઠ નેતૃત્વ ઉપસ્થિત રહેશે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ તમામને આહ્વાન કરે છે કે લોકશાહી બચાવવા, વોટના સંવૈધાનિક હક્કની રક્ષા કરવા, અને વોટચોરીના આ ગઠબંધન સામે લડવા માટે 14 ડિસેમ્બરે મોટી સંખ્યામાં દિલ્હી પહોંચીને. વોટચોરોને ખુલ્લા પાડવા અને ગાદી છોડાવવાના અડગ સંકલ્પને સમર્થન આપવા અને આ લડાઈ પૂરી મજબૂતી સાથે લડવા સૌને આમંત્રણ છે.

રાજીવ ગાંધી ભવન ખાતે આયોજીત પત્રકાર પરિષદમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મીડીયા કન્વીનર અને પ્રવક્તા ડૉ. મનિષ દોશી, મીડીયા કોકન્વીનર અને પ્રવક્તા શ્રી હેમાંગ રાવલ, પ્રવક્તા ડૉ. પાર્થિવરાજસિંહ કઠવાડીયા, ડૉ. અમિત નાયક હાજર રહ્યાં હતાં.

Related posts

અમદાવાદમાં મતદારયાદી SIR ઝુંબેશ 4 નવેમ્બરથી BLO ઘરે-ઘરે ફોર્મ ભરાવશે 7 ફેબ્રુઆરીએ આખરી મતદારયાદી જાહેર કરવામાં આવશે

GUJARAT NEWS DESK TEAM

બારડોલી બસ અકસ્માતના ૬ મૃતકોની ડ્ઢદ્ગછથી ઓળખ થઈ

ભુજ એરફોર્સ દ્વારા ‘નો યોર ફોર્સિસ’ અંતર્ગત શસ્ત્ર પ્રદર્શન યોજવામાં આવ્યું

GUJARAT NEWS DESK TEAM

વાવાઝોડાથી જોડિયાના સંચાણા બંદરે  50થી 60 માછીમારી બોટને નુકસાન પહોંચતાં તારાજી 

સુવર્ણ નવરાત્રીના આયોજકો પર GST વિભાગનો દરોડો, સુરત-અમદાવાદમાં ફફડાટ

GUJARAT NEWS DESK TEAM

સુપ્રસિદ્ધ યાત્રાધામ શ્રી વડવાળા મંદિર, દુધરેજ ધામ ખાતે નૂતન શિતલ ગૌશાળાના લોકાર્પણના ભવ્ય ઉત્સવ પ્રસંગે ઉપસ્થિત રહેતા ભાજપા પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા

Leave a Comment