OTHERગુજરાત

અમદાવાદમાં ભારતના અગ્રણી રુમેટોલોજિસ્ટ્સનું સમ્મેલન : આર્થરાઇટિસ અને ઓટોઇમ્યુન રોગો વિશે વિસ્તૃત ચર્ચા-વિચારણા કરાશે

અમદાવાદમાં ભારતના અગ્રણી રુમેટોલોજિસ્ટ્સનું સમ્મેલન : આર્થરાઇટિસ અને ઓટોઇમ્યુન રોગો વિશે વિસ્તૃત ચર્ચા-વિચારણા કરાશે
15 અને 16 નવેમ્બરના રોજ યોજાનારા આ બે દિવસીય સમ્મેલનનો ઉદ્દેશ્ય આર્થરાઇટિસ(સંધિવા) અને સંબંધિત વિકારોના નિવારણ અને નિયંત્રણ માટે અસરકારક વ્યૂહરચના વિકસિત કરવા તેમજ રોગ અંગે જાગૃતિ કેળવવા તથા આધુનિક અને પરંપરાગત પ્રણાલીઓ વચ્ચે વધુ સારા સંકલન અને મજબૂત ક્લિનિકલ સહયોગ સ્થાપિત કરવાનો છે
અમદાવાદ: રુમેટોલોજી એસોસિએશન ગુજરાત (RAG) દ્વારા 15 અને 16 નવેમ્બરના રોજ આર્થરાઇટિસ અને ઓટોઇમ્યુન રોગ અંગે એકેડેમીક કોન્કલેવ (શૈક્ષણિક સમ્મેલન)નું આયોજન કરવામાં આવ્યું છે. આ બે દિવસીય ઇવેન્ટમાં આ ક્ષેત્રના અગ્રણી નિષ્ણાતો, ચિકિત્સકો, સંશોધકો અને અનુસ્નાતક વિદ્યાર્થીઓ શિક્ષણ, સહયોગ અને વૈજ્ઞાનિક આદાન-પ્રદાન અંગે વિસ્તૃત ચર્ચા વિચારણા કરશે.
આ કોન્ક્લેવમાં રુમેટોલોજી ક્ષેત્રના ભારતના બે સૌથી પ્રતિષ્ઠિત અગ્રણીઓ, ડૉ. અરવિંદ ચોપરા (આયુષ ડિસ્ટિંગ્વિશ્ડ સાયન્ટિસ્ટ ચેર અને ડિરેક્ટર-સેન્ટર ફોર રુમેટિક ડિસીઝ, પુણે) તથા ઇન્ડિયન જર્નલ ઓફ રુમેટોલોજીના મુખ્ય સંપાદક અને SGPGI, લખનૌમાં ક્લિનિકલ ઇમ્યુનોલોજી અને રુમેટોલોજી વિભાગના પ્રોફેસર ડૉ. દુર્ગા પ્રસન્ના મિશ્રા હાજર રહેશે.
આ કાર્યક્રમ અંગે રુમેટોલોજી એસોસિએશન ગુજરાતના પ્રમુખ ડૉ. રીના શર્માએ જણાવ્યું હતું કે, “રૂમેટિક અને મસ્ક્યુલોસ્કેલેટલ ડિસઓર્ડર(વિકાર) ભારતમાં સૌથી પ્રચલિત અને બોજારૂપ સ્થિતિઓમાંની એક છે. જોકે, તેની અવગણના કરવામાં આવે છે અને તેની પ્રમાણમાં ઓછી જાણ કરવામાં આવે છે. 19.5 કરોડથી વધુ ભારતીયો આર્થરાઇટિસ (સંધિવા, સાંધાનો સોજો) સંબંધિત પીડા સાથે જીવી રહ્યા છે. એવામાં આ બાબતમાં વધુ જાગૃતિ, આધુનિક અને પરંપરાગત પ્રણાલીઓ વચ્ચે વધુ સારા સંકલન અને મજબૂત ક્લિનિકલ સહયોગની તાત્કાલિક જરૂર છે. આ મીટિંગનો ઉદ્દેશ્ય, વિવિધ વિષયો-શાખાઓને એક સામાન્ય પ્લેટફોર્મ પર લાવીને આ સમસ્યાનું નિવારણ લાવવાનો છે, જેથી દર્દીની સમજશક્તિ વધે અને તેમના પરિણામોમાં સુધારો થઇ શકે.”
WHO ના કોમ્યુનિટી ઓરિએન્ટેડ પ્રોગ્રામ ફોર કંટ્રોલ ઓફ રુમેટિક ડિસીઝ (COPCORD) હેઠળ ડૉ. ચોપરા અને તેમના સાથીદારો દ્વારા પ્રકાશિત તાજેતરના ડેટા અનુસાર, ભારતમાં સંધિવાથી પીડિત લોકોમાં, લગભગ 65% મહિલાઓ છે તેમજ દેશમાં પાંચમાંથી એક મહિલાને હાડકા અને સાંધાનો દુખાવો સંધિવા પ્રકૃતિનો હોય છે. આ ટીમે 55,000 થી વધુ લોકોને આવરી લેતા 21 સર્વે પૂર્ણ કર્યા છે, જેમાં 60% ગ્રામીણ વિસ્તારોમાં કરવામાં આવ્યાં છે.
રુમેટોઇડ આર્થરાઇટિસ (RA) નો વ્યાપ 0.5 થી 0.8% હોવાનો અંદાજ છે. આ પહેલાં કરવામાં આવેલાં એક સર્વેમાં RA ના 42 લાખ કેસ મળી આવ્યા હતા, જેમાં 35.1 લાખ મહિલાઓ અને 11.7 લાખ યુવાન, પ્રજનન વયની મહિલાઓ સામેલ છે, જે આ વિકારોનો વ્યાપક સામાજિક અને આર્થિક પ્રભાવ દર્શાવે છે.
આ ઉપરાંત, 5.4 કરોડ ભારતીયો ઑસ્ટિયોઆર્થ્રાઇટિસથી પીડાય છે, જે સામાન્ય રીતે ઘૂંટણ અને કરોડરજ્જુને અસર કરે છે. ઑસ્ટિયોઆર્થ્રાઇટિસ અને કમરના નીચેના ભાગમાં દુખાવો અપંગતાના સૌથી સામાન્ય કારણો છે. 1.72 કરોડથી વધુ લોકો વ્યાવસાયિક તાણ, તણાવ અથવા ખરાબ જીવનશૈલીની આદતોને કારણે ફેલાયેલા અથવા સ્થાનિક મસ્ક્યુલોસ્કેલેટલ પીડાનો અનુભવ કરે છે.
ડૉ. ચોપરાP, જેઓ 1996 થી COPCORD સર્વે કરી રહ્યા છે અને વૈશ્વિક COPCORD અભ્યાસોમાં ભારતના મુખ્ય સંયોજક છે, તેમણે જણાવ્યું હતું કે, “મહિલાઓમાં સંધિવાના રોગોનું પ્રમાણ વધુ જોવાં મળે છે. આ ઉપરાંત, સ્થૂળતા, ઉંમર, શારીરિક શ્રમ, તમાકુનું સેવન અને ઓછી સામાજિક-આર્થિક સ્થિતિ એ અન્ય મુખ્ય જોખમ કારક પરિબળો છે.”
આ પૃષ્ઠભૂમિમાં, આ બે દિવસીય પરિષદમાં રોગશાસ્ત્ર, ક્લિનિકલ મેનેજમેન્ટ, પબ્લિક હેલ્થ(જાહેર આરોગ્ય) દ્રષ્ટિકોણ અને સંધિવા તથા ઓટોઇમ્યુન(સ્વયંપ્રતિરક્ષા) સંધિવા રોગો માટે સંકલિત અભિગમો પર ઊંડાણપૂર્વકની ચર્ચા કરવામાં આવશે.
આ સમ્મેલનમાં એક નવા COPCORD સર્વેની શરૂઆત પણ થશે, જે અંતર્ગત, ગુજરાતના ગ્રામીણ વિસ્તારોમાં લગભગ 7,000 લોકોની તપાસ કરવામાં આવશે. આ સર્વે ફક્ત સંધિવા જ નહીં, પરંતુ તમામ પ્રકારના સંધિવા રોગના બનાવો અને વ્યાપ પર ધ્યાન કેન્દ્રિત કરશે. તેના ડેટા કલેક્શન અને પ્રકાશનમાં લગભગ 6-8 મહિનાનો સમય લાગશે.
કોન્ફરન્સના પહેલા દિવસે, વૈજ્ઞાનિક સત્રો “ચિકનગુનિયા તાવ અને ચિકનગુનિયા પછીના સંધિવાનું રોગચાળા વિજ્ઞાન અને સંચાલન”, “મેડિકલ ઓપીડીમાં વાસ્ક્યુલાઇટિસનું નિદાન કેવી રીતે કરવું તેના સંકેતો” તેમજ “પહેલાથી અસ્તિત્વમાં રહેલા ઓટોઇમ્યુન રુમેટિક રોગ ધરાવતા દર્દીઓમાં સામાન્ય ક્લિનિકલ દ્વિધાઓ” જેવા મહત્વપૂર્ણ પડકારો પર વિચાર મંથન કરવામાં આવશે.
બીજા દિવસે ડૉ. અરવિંદ ચોપરા દ્વારા “COPCORD ડેટાના પરિપ્રેક્ષ્યમાં સંધિવા રોગનો બોજ” અને “આર્થરાઈટિસ : આયુર્વેદિક દ્રષ્ટિકોણ” પર ધ્યાન કેન્દ્રિત કરતા સત્રો યોજાશે. તેના પછી “ફંક્શન એન્ડ ક્વોલિટી ઓફ લાઇફ”(કાર્ય અને જીવનની ગુણવત્તા) પર પારસ્પરિક સંવાદી સત્રો અને જીવનની ગુણવત્તા (QOL) મૂલ્યાંકન પર એક વ્યવહારુ વર્કશોપ યોજાશે.
આ કોન્ફરન્સનું બીજું એક મુખ્ય આકર્ષણ સાયન્ટિફિક રાઇટીંગ વર્કશોપ(વૈજ્ઞાનિક લેખન કાર્યશાળા) હશે, જે યુવા ચિકિત્સકો અને સંશોધકોને તબીબી પ્રકાશનમાં વ્યવહારુ જાણકારી પ્રદાન કરશે. આ સત્રોમાં “બિયોન્ડ ધ P-વેલ્યુ : વીવિંગ સ્ટેટિસ્ટિક્સ ઇનટુ અ કમ્પેલિંગ નેરેટિવ,” “એનાટોમી ઓફ અ મેન્યુસ્ક્રિપ્ટ: અ ડીપ ડાઇવ ઇનટુ ધી IMRaD ફ્રેમવર્ક,” અને “થિંકિંગ લાઈક અ રિવ્યુઅર: અ લાઈવ મેન્યુસ્ક્રિપ્ટ ઓટોપ્સી”નો સમાવેશ થાય છે.
આ કાર્યક્રમનો ઉદ્દેશ્ય રુમેટોલોજી, આંતરિક ચિકિત્સા, જાહેર આરોગ્ય અને આયુર્વેદિક પ્રણાલીઓ વચ્ચે બહુ-શાખાકીય સહયોગને પ્રોત્સાહન આપવાનો છે, જે સંકલિત શિક્ષણનું એક મોડેલ છે તેમજ જે પુરાવા-આધારિત સર્વગ્રાહી ચિકિત્સા પર ભારતના વધતા ભાર સાથે સુસંગત છે.
વધુમાં ડૉ. રીના શર્માએ ઉમેર્યું હતું કે, “અમારું લક્ષ્ય એક એવું પ્લેટફોર્મ તૈયાર કરવાનું છે, જે ચિકિત્સકો અને સંશોધકોને વૈજ્ઞાનિક ચોકસાઈ અને કરુણાપૂર્ણ દર્દી સંભાળને જોડવા માટે સશક્ત બનાવે છે. આધુનિક રુમેટોલોજીને આયુર્વેદ અને જાહેર આરોગ્ય સાથે જોડીને, આપણે સંધિવા અને સંબંધિત વિકારોના નિવારણ અને નિયંત્રણ માટે અસરકારક વ્યૂહરચના વિકસાવવાની નજીક જઈ શકીએ છીએ.
બે દિવસીય આ બેઠક ભારતમાં સંધિવા રોગની વૃધ્ધિ, તેનો વ્યાપ અને તેના સામાજિક પ્રભાવને સમજવામાં અને વિજ્ઞાન, સેવા અને સમાજ વચ્ચેના સેતુને મજબૂત બનાવવાની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું સાબિત થશે.
આ સમ્મેલનમાં અનેક તબીબી સંસ્થાઓ અને કોલેજોના મેડિસિન અને રુમેટોલોજી, કોમ્યુનિટી મેડિસિન અને કાયચિકિત્સા (આયુર્વેદ) ના ફેકલ્ટી અને અનુસ્નાતક વિદ્યાર્થીઓ ભાગ લઈ રહ્યા છે. આ કાર્યક્રમનું સંકલન, ઇન્ડિયન રુમેટોલોજી એસોસિએશનના ઉપપ્રમુખ અને અમદાવાદના સિનિયર રુમેટોલોજિસ્ટ ડૉ. સપન પંડ્યા, IIPH અમદાવાદના ડિરેક્ટર ડૉ. દીપક સક્સેના તેમજ આર્યુવેદિક ફિઝિશિયન અને CCRAS, અમદાવાદના આસિસ્ટન્ટ ડિરેક્ટર ડૉ. કિરણ કાલે કરી રહ્યા છે.
આ પહેલાં, ઓગસ્ટ અને ઓક્ટોબર 2025 દરમિયાન નવી દિલ્હી, પુણે, ગોરખપુર અને વારાણસીમાં સંધિવા અંગે ચર્ચા કરવા તેમજ સમુદાય તથા તબીબી ફેકલ્ટીમાં જાગૃતિ અને જ્ઞાન વધારવા માટે સમાન સંકલિત બેઠકોનું આયોજન કરવામાં આવ્યું હતું. અમદાવાદ પછી, કાલિકટ, બેંગ્લોર, ચેન્નાઈ, હૈદરાબાદ, કોલકાતા અને ગુવાહાટીમાં આ પ્રકારના સમ્મેલનોનું આયોજન કરવામાં આવશે.

Related posts

રાજભવન માંથી પીએમ નરેન્દ્ર મોદીએ વિદાય લીધી

GUJARAT NEWS DESK TEAM

હિંમતનગરમાં વિકાસના નામે હુડા ખેડુતોની જમીન હડપવાનો પ્રયાસ કરી રહી છે :  અમિત ચાવડા

GUJARAT NEWS DESK TEAM

નેતૃત્વ, સ્વાસ્થ્ય અને માર્ગદર્શન વિષયે ‘ગીવ ટુ ગેઇન’ ચર્ચા સત્ર  યોજી અદાણી યુનિવર્સિટી દ્વારા આંતરરાષ્ટ્રીય મહિલા દિન ઉજવાયો

અદાણી ગ્રુપ દ્વારા કચ્છમાં ગ્રીન હાઇડ્રોજન પાયલોટ પ્રોજેક્ટની શરૂઆત!

GUJARAT NEWS DESK TEAM

ગાંધીનગરમાં સહકાર સે સમૃદ્ધિ અંતર્ગત મુખ્યમંત્રીના અધ્યક્ષસ્થાને સહકારી અગ્રણીઓનો એક દિવસીય વર્કશોપ

GUJARAT NEWS DESK TEAM

કોંગ્રેસ દ્વારા સુરેન્દ્રનગર ખાતે આવતીકાલે ધરણાં યોજાશે

Leave a Comment