જન આક્રોશ યાત્રા દિવસ 7 (અટલાદરાથી સાઠોદ)

- વડોદરામાં યુવાનના મોત માટે CM અને વડોદરા મનપાના શાસકો જવાબદાર, CM ને વિકાસ બતાવવા રાતોરાત ખાડા ખોદવામાં આવ્યા જેમાં પડી જતા યુવાનનું મૃત્યુ થયું : શ્રી અમિતભાઈ ચાવડા
- સરકારની ગુનાહિત બેદરકારીને કારણે ગંભીરા પુલ તૂટવાને કારણે સેંકડો લોકો બેકાર થયા છે, તાત્કાલિક વૈકલ્પિક પુલ બનાવવામાં આવે : શ્રી અમિતભાઈ ચાવડા
- પાદરા-જંબુસર ૪ માર્ગીય રસ્તામાં કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર, તપાસ કરો: શ્રી અમિતભાઈ ચાવડા
- બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થઈ રહેલા અત્યાચારને અટકાવવા 56 ઈંચની છાતીનો દાવો કરનારા PM કેમ કોઈ પગલા નથી લઈ રહ્યા આ મામલે હજુ સુધી મૌન કેમ છે : શ્રી અમિતભાઈ ચાવડા
- આ તાનાશાહી સરકારને સત્તામાંથી હટાવ્યા વગર ઝંપીશું નહીં : ડૉ. તુષારભાઈ ચૌધરી
જન આક્રોશ યાત્રાના સાતમા દિવસની શરૂઆત અટલાદરાથી કરવામાં આવી ત્યારબાદ યાત્રા સમિયાળા, સાંગમાં, ડભાસ, વિશ્રામપુરા, મોભા, રાનપુરા, ઉમજ, સોખડા, ચોરભુજ, કણભા, હાંડોદ, કરજણ, ઉતરાજ, સાધલી, અવાલખ, છાણભોઈ માર્ગે સાઠોદ તરફ આગળ વધી. યાત્રા દરમિયાન રસ્તામાં સ્થાનિક નાગરિકોએ ઠેરઠેર યાત્રાનું ભવ્ય સ્વાગત કર્યું.
આ પ્રસંગે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ શ્રી અમિતભાઈ ચાવડાએ જણાવ્યું કે CM ને મહાનગરપાલિકામાં ચૂંટાયેલા ભાજપના નેતાઓ અને અધિકારીઓ ઉલ્લુ બનાવી રહ્યા છે. મહિનાઓ પહેલાં શહેરમાં JCB સહિત સાધનો ખરીદાયા હતા અને તેનો ઉપયોગ પણ ચાલુ થઈ ગયો હતો, પરંતુ ફરીવાર એ સાધનોને ધોવડાવી સાફ કરી CM ના હાથે લોકાર્પણ કરાવવામાં આવ્યું અને મોટા પાયે વિકાસ થઈ રહ્યો હોવાની જાહેરાતો કરવામાં આવી. તદુપરાંત વિકાસ થયો એવું બતાવવા માટે રાતોરાત ગટરની ડ્રેનેજ લાઈનો નાખવામાં આવી અને ખાડા ખોદવામાં આવ્યા, જેમાં પડી જવાથી એક નિર્દોષ યુવાનનું મોત થયું. આ કોઈ કુદરતી મોત નહીં પરંતુ ભાજપના શાસકોની ગુનાહિત બેદરકારીના કારણે થયું છે અને આ મોત માટે જેટલા મનપાના શાસકો જવાબદાર છે એટલા જ CM પણ જવાબદાર છે, કારણ કે એમની મુલાકાત માટે રાતોરાત જે ખાડા ખોદવામાં આવ્યા તેમાં પડી જવાથી વડોદરાના એક નિર્દોષ યુવાનનો જીવ ગયો.
ભારતમાં ભાજપે હિંદુત્વના નામે સરકાર બનાવી પરંતુ બાંગ્લાદેશમાં હિન્દુ સાથે હાલમાં જે અત્યાચાર થઈ રહ્યો છે ક્રૂરતા પૂર્વક હત્યાઓ થઈ રહી છે બહેન દીકરીઓ સાથે બલાત્કાર કરવામાં આવી રહ્યા છે તેને લઈને સરકાર દ્વારા હજુ સુધી કોઈ અસરકારક પગલા નથી ઉઠાવવામાં આવ્યા પીએમ મોદી એક સમયે ખૂબ મોટી વાતો કરતા કે કોઈ ગુસ્તાખી કરશે તો એને જડબાતોડ જવાબ આપીશું પરંતુ બાંગ્લાદેશમાં હિન્દુઓના અત્યાચાર મામલે સરકારની બોલતી બંધ કેમ છે ? અમારી માંગ છે કે સરકાર તાત્કાલિક આ મામલો આંતરરાષ્ટ્રીય સ્તરે ઉઠાવે અને બાંગ્લાદેશમાં હિંદુ ભાઈ બહેનો પર થઈ રહેલા અત્યાચારને અટકાવે
ઉપરાંત રાજ્યમાં યુવાઓને રોજગાર નથી મળતો અને મળે તો યોગ્ય વેતન નથી મળતું. પરિણામે લોકો કોઈપણ ભોગે વિદેશ જવા આકર્ષાઈ રહ્યા છે અને ત્યાં આગળ પણ તેમનું શોષણ થઈ રહ્યું છે. હાલમાં જ વડોદરા સહિત રાજ્યભરના કેટલાય યુવાઓ મ્યાનમારમાં ફસાયા છે, જ્યાં એજન્ટો મળીને તેમનું શોષણ કરી રહ્યા છે. ત્યારે સરકારે યુવાઓને રોજગાર મળે એ દિશામાં પણ પ્રયાસો કરવા જોઈએ અને હાલમાં જે યુવાઓ ફસાયા છે તેમને તાત્કાલિક પરત લાવવા માટે જરૂરી કાર્યવાહી કરવી જોઈએ.
વડોદરા જિલ્લામાં અને શહેરમાં ભ્રષ્ટ શાસકોના કારણે કેટલાય વિસ્તારોમાં પીવાનું શુદ્ધ પાણી નથી મળતું. ચોમાસામાં વિશ્વામિત્રી નદીમાં શાસકોની ગુનાહિત બેદરકારીના કારણે પૂર આવે છે. એ સિવાય સામાન્ય વરસાદમાં ડ્રેનેજ સિસ્ટમ ફેલ થઈ જાય છે અને રોડ રસ્તાઓ સામાન્ય વરસાદમાં ધોવાઈ જાય છે. ઉપરાંત લારી-ગલ્લાવાળા સામાન્ય લોકો પાસેથી ખોટી રીતે પૈસા ઉઘરાવવામાં આવે છે અને ન આપે તો તેમનો ધંધો બંધ કરાવી દેવામાં આવે છે. આમ સ્થાનિક સ્વરાજની સંસ્થાઓને ભાજપના સત્તાધીશો અને અધિકારીઓએ ભ્રષ્ટાચાર અને લૂંટના અડ્ડા બનાવી દીધા છે.
CLP નેતા ડૉ. તુષારભાઈ ચૌધરીએ જણાવ્યું કે ભાજપના રાજમાં જનતા હેરાન પરેશાન થઈ ગઈ છે. ચારેતરફ માત્ર ભ્રષ્ટાચાર જ છે. આ સરકારને પોતાની સત્તા સિવાય કોઈની પડી નથી. વધુમાં રાજ્યમાં ખેડૂતો, યુવાઓ, મહિલાઓ અને વિદ્યાર્થીઓ એમ તમામ વર્ગના લોકો આ સરકારના રાજમાં પરેશાન છે અને જ્યારે તેમની સમસ્યાઓને લઈને અવાજ ઉઠાવે છે ત્યારે સરકાર નાગરિકોના અવાજને કચડી નાખે છે. ત્યારે આવી તાનાશાહી સરકારને શાસનમાંથી દૂર કરવાનો સમય આવી ગયો છે.
આ પ્રસંગે CLP નેતા ડૉ. તુષારભાઈ ચૌધરી, વડોદરા શહેર પ્રમુખ શ્રી ઋત્વિજભાઈ જોશી, મનપા વિપક્ષ નેતા શ્રી ચંદ્રકાંતભાઈ શ્રીવાસ્તવ, તાલુકા પ્રમુખ પાદરા શ્રી હિતેન્દ્રસિંહ પરમાર, શહેર પ્રમુખશ્રી રણછોડભાઈ પરમાર, શિનોર તાલુકા કોંગ્રેસ સમિતિ, પિન્ટુભાઈ પટેલ કરજણ તાલુકા કોંગ્રેસ સમિતિ, શ્રી નટવરસિંહ પઢિયાર, શ્રી મનહરભાઈ પટેલ, શ્રી સમસાદઅલી સૈયદ, દિપ્તીબેન ભટ્ટ જિલ્લા પંચાયત સભ્ય, જિલ્લા પંચાયત સદસ્યશ્રી અર્જુનસિંહ પઢિયાર, શ્રી હર્ષદસિંહ પરમાર, શ્રી હાર્દિક પટેલ, ચંદુભાઈ ડાભી પૂર્વ ધારાસભ્ય કરજણ, ભરતભાઈ અમીન, અનિલભાઈ પટેલ, ભુપેન્દ્ર પટેલ, જયેશભાઈ પટેલ, મહેન્દ્રભાઈ પટેલ, મયુર પટેલ, અલ્તાફભાઈ રંગરેજ, રાજુભાઈ, રિતેશભાઈ પટેલ, પંકજભાઈ પટેલ, પૂર્વ ધારાસભ્યો, વરિષ્ઠ આગેવાનો તેમજ મોટી સંખ્યામાં સ્થાનિક નાગરિકો જોડાયા.