દેશના યશસ્વી પ્રધાનમંત્રીશ્રી અને સોમનાથ ટ્રસ્ટના માનનીય અધ્યક્ષ શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના જન્મદિવસ નિમિત્તે સોમનાથ મંદિર સાથે જોડાઈને રાજ્યની તમામ સંસ્કૃત પાઠશાળાના 4500 થી વધુ ઋષિકુમારો અને ગુરુજનોએ મંત્રોચ્ચારથી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબને આશીર્વાદ પાઠવ્યા
——–
સોમનાથ ટ્રસ્ટ દ્વારા અનેકવિધ ધાર્મિક અને સામાજિક કાર્યક્રમોનું આયોજન
——–
પ્રધાનમંત્રીશ્રીના દીર્ઘ અને યશોમય આયુષ્ય માટે સોમનાથ મહાદેવની મહાપૂજા પાઘ પૂજા, આયુષ્ય મંત્ર જાપ કરાયા, સોમનાથ દાદાને 75 કિલો લાડુનો મનોરથ
——–
રાજ્યની તમામ સંસ્કૃત પાઠશાળાના 4500 થી વધુ ઋષિ કુમારોને સોમનાથ મહાદેવનો વસ્ત પ્રસાદ અર્પણ કરાયો
——–
રાજ્યના વિવિધ જિલ્લાના 1000 થી વધુ દિવ્યાંગોને કુત્રિમ અંગો અર્પણ કરાયા
——–
110 થી વધુ લાભાર્થીઓને બત્રીસી વિતરણ
——–
સોમનાથ ટ્રસ્ટ દ્વારા આજના પાવન દિવસે સિંદૂર અને અશોકના વૃક્ષોનું રોપણ
——–
સોમનાથ ટ્રસ્ટે નિશ્ચિત સમય ગાળા માટે દત્તક લીધેલ 300 ટીબી ગ્રસ્ત દર્દીઓને પોષણયુક્ત રાશન કીટ અર્પણ
——–
જિલ્લાના આંગણવાડીના ભૂલકાઓને સુપોષણ માટે લાડુ અર્પણ કરાયા, 1 વર્ષમાં 27 ટન લાડુનું કરવામાં આવી રહ્યું છે વિતરણ
——–
નિરાધાર નો આધાર આશ્રમના મનો દિવ્યાંગોને સોમનાથ યાત્રા કરાવી પ્રસાદ અને ભોજન પ્રસાદ અર્પણ કરાયા
——–
સાંપ્રત એજ્યુકેશનલ ટ્રસ્ટ ખાતે 33 દિવ્યાંગ બાળકોને ભોજન કરાવાયું
——–
શ્રી સોમનાથ ટ્રસ્ટની ગૌશાળા અને દ્વારકાધીશ ગૌ હોસ્પિટલની ગાયો મળી 400 ગાયોને લાડુ પ્રસાદ અર્પણ કરાયા
તા.17/09/2025, બુધવાર,
શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા આજરોજ 17 સપ્ટેમ્બરે દેશના યશસ્વી પ્રધાનમંત્રીશ્રી તથા સોમનાથ ટ્રસ્ટના માન.અધ્યક્ષ શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના જન્મદિવસના શુભ અવસરે વૈદિક પરંપરાને અનુરૂપ ધાર્મિક તથા વિવિધ સામાજિક સેવા કાર્યક્રમોનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમો દ્વારા સમાજના પ્રત્યેક વર્ગોને સેવા પહોંચાડવાનો પુણ્ય પ્રયત્ન કરવામાં આવ્યો હતો. જેમાં સવિશેષ રૂપે રાજ્યની તમામ સંસ્કૃત પાઠશાળાઓ ઓનલાઇન માધ્યમથી સોમનાથની છત્રછાયામાં જોડાઈ હતી અને સંસ્કૃત અને સંસ્કૃતિને પોષનાર ટ્રસ્ટના માન.અધ્યક્ષ અને રાષ્ટ્રના સંસ્કૃત અનુરાગી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબને 4500 થી વધુ ઋષિ કુમારો અને ગુરુજનો દ્વારા એક સાથે મંત્રોચ્ચાર કરી આશીર્વાદ પાઠવ્યા હતા. આ કાર્યક્રમમાં ટ્રસ્ટના માનનીય ટ્રસ્ટી શ્રી.પી.કે.લહેરી, માન.શ્રી હર્ષવર્ધન નીઓટિયા, માન.શ્રી વિષદભાઈ મફતલાલ, ટ્રસ્ટના માન.સચિવ શ્રી યોગેન્દ્રભાઈ દેસાઈ સાહેબ સહિતના મહાનુભવો જોડાયા હતા. આ પ્રસંગે 4500 થી વધુ ઋષિકુમારોને શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા વસ્ત્રપ્રસાદનું ઓનલાઇન વિતરણ કરવામાં આવ્યું હતું.
સામાજિક સેવા યગ્ન:
કૃત્રિમ અંગ અર્પણ અને દંત યગ્ન કેમ્પ:
સવારના 9:30 કલાકે ટી.એફ.સી કોર્ટયાર્ડ ખાતે શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા ભગવાન મહાવીર વિકલાંગ સેવા સમિતિ સાથે મળી કૃત્રિમ અંગ અર્પણ કેમ્પ તથા ડિવાઇન ચેરીટેબલ ટ્રસ્ટ રાજકોટ સાથેના સંયુક્ત ઉપક્રમે દંતચિકિત્સા કેમ્પનું ટ્રસ્ટના માન.ટ્રસ્ટી શ્રી જે.ડી પરમાર સાહેબ દ્વારા દીપ પ્રાગટ્ય કરી ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે ટ્રસ્ટના જનરલ મેનેજર શ્રી વિજયસિંહ ચાવડા અને ટ્રસ્ટ પરિવાર જોડાયા હતા. શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા ભાવનગર, પોરબંદર, ગીર સોમનાથ, આણંદ, બોટાદ, અરવલ્લી, સાબરકાંઠા, જૂનાગઢ, ગાંધીનગર, ખેડા, સુરેન્દ્રનગર, મોરબી, જામનગર અને અમરેલી જિલ્લામાં અનેક કૃત્રિમ અંગ વિતરણ કેમ્પ યોજાઈ ચૂક્યા છે. તેમજ દાહોદ, જામનગર, દ્વારકા, જૂનાગઢ અને ગીર સોમનાથમાં આગામી કેમ્પ યોજાઈ રહ્યા છે. આ પ્રયાસથી અત્યાર સુધીમાં 1000 થી વધુ લાભાર્થીઓને સીધી સેવા મળી હતી. સ્થાનિક વહીવટી તંત્રના સહયોગથી દિવ્યાંગોની ચોક્કસ માપ અને જરૂરિયાત મુજબની માહિતી એકત્રિત કરીને લાભાર્થીઓ માટે ખાસ ડિઝાઇન કરાયેલા કૃત્રિમ અંગો અર્પણ કરવામાં આવ્યા હતા.
દંતચિકિત્સા કેમ્પ અંતર્ગત દર મહિને પહેલી તારીખે આયોજિત આરોગ્ય કેમ્પોમાં દર્દીઓના માપ લેવામાં આવ્યા હતા. હવે 110 લાભાર્થીઓને સંપૂર્ણ મોઢાના દાંતના સેટ (બત્રીસી – ફુલ માઉથ ડેન્ચર્સ) અર્પણ કરવામાં આવ્યા હતા. અત્યાર સુધીમાં આ સેવાનો લાભ 5000થી વધારે લાભાર્થીઓએ લીધેલ છે.
આ પ્રસંગે શ્રી સોમનાથ મંદિર દ્વારા સામાજિક જવાબદારીનું અદ્વિતીય ઉદાહરણ પ્રસ્તુત કરીને ટ્રસ્ટ દ્વારા 300 ટિબી દર્દીઓને નિશ્ચિત સમયગાળા માટે પોષણ અન્ન આપવાની યોજના અમલમાં મૂકાઈ છે. આ દર્દીઓને સહાયરૂપે પોષણયુક્ત રાશન કીટનું વિતરણ સ્થાનિક જિલ્લા વહીવટી તંત્રની મદદથી કરવામાં આવ્યું હતું.
સોમનાથ મહાદેવ ભોળાનાથ છે અને નાના બાળકો મહાદેવને વિશેષ પ્રિય છે. તેથીજ ગીર સોમનાથ જિલ્લાની તમામ આંગણવાડીઓમાં ટ્રસ્ટ દ્વારા એક વર્ષ માટે “લાડુ પોષણ પ્રસાદ” યોજના શરૂ કરવામાં આવી છે. તેના ભાગરૂપે આંગણવાડી કર્મચારીઓને પ્રસાદરૂપે પોષક લાડુઓ સ્થાનિક જિલ્લા વહીવટી તંત્રની મદદથી અર્પણ કરવામાં આવ્યા હતા.
પ્રકૃતિ અને ગૌરવને સમર્પિત સિંદૂર અને અશોક વૃક્ષ રોપણ:
ટ્રસ્ટી શ્રી જે.ડી.પરમાર અને જનરલ મેનેજર શ્રી વિજયસિંહ ચાવડા સાહેબ દ્વારા ટ્રસ્ટની ગૌશાળામાં સિંદૂર અને અશોકના છોડનું વાવેતર કરવામાં આવ્યું હતું. સિંદૂરના છોડનું વૃક્ષારોપણ આપણા સશસ્ત્ર દળોની વીરતા તથા દેશના ગૌરવની રક્ષા માટે માનનીય પ્રધાનમંત્રીએ દર્શાવેલી દ્રઢ નિર્ણયશક્તિને સમર્પિત છે.
ધાર્મિક પૂજન અને વૈદિક પરંપરા:
ધાર્મિક વિધિ વિધાન અનુસાર શ્રી સોમનાથ મંદિરના સંકીર્તન ભવનમાં યશ, કીર્તિ અને ગૌરવના પ્રતીક રૂપે પાઘ પૂજન અને પાઘ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું, સાથે આયુષ્ય મંત્રજાપ પણ કરવામાં આવ્યા હતા. સાથે મધ્યાહન મહાપૂજા પૂર્વે શ્રી સોમનાથ મહાદેવને પૂજા સામગ્રી, વસ્ત્રો અને ફળો અર્પણ કરી અને મહાપૂજાનો સંકલ્પ લઈ શાસ્ત્રોક્ત વિધિ વિધાન સાથે મહાપુજા સંપન્ન કરવામાં આવી હતી.
વિશેષ વર્ધાપન પૂજાનો પ્રારંભ:
શ્રી સોમનાથ મંદિરમાં વર્ધાપન પૂજનનો શુભારંભ ટ્રસ્ટના મુખ્ય પુજારી શ્રી વિજયભાઈ ભટ્ટના હસ્તે કરવામાં આવ્યો હતો. ભારતીય સંસ્કૃતિમાં જન્મદિવસ ઉજવવા માટેની વૈદિક પરંપરાને પુનઃ જીવંત કરવા માટે ટ્રસ્ટ દ્વારા દૈનિક રીતે આ પૂજાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. Somnath.org વેબસાઈટ પરથી કોઈપણ વ્યક્તિ ઘરે બેઠા વર્ધાપન પૂજા નો લાભ લઇ રક્ષા સુત્ર ઘર આંગણે મેળવી શકશે.
વિશેષ મહાભોગ અને પ્રસાદ વિતરણ:
મધ્યાહ્ન 12:00 કલાકે શ્રી સોમનાથ મહાદેવને વિશેષ મનોરથરૂપે 75 કિલો લાડૂનો મહાભોગ અર્પણ કરવામાં આવ્યો હતો. જે લાડુને શિવજીના મહાપ્રસાદ સ્વરૂપે ટ્રસ્ટની ગૌશાળામાં તથા દ્વારકાધીશ ગૌ હોસ્પિટલ મળી કુલ 400 જેટલી ગાયોને સોમનાથ મહાદેવને અર્પણ કરાયેલ લાડૂઓનું વિતરણ કરવામાં આવેલ.
દિવ્યાંગ ના નાથ સોમનાથ:
દેશના યશસ્વી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબની અધ્યક્ષતામાં દિવ્યાંગની સેવા શ્રી સોમનાથ ટ્રસ્ટના મૂળભૂત સિદ્ધાંતોમાં વસી છે. ત્યારે નિરાધાર નો આધાર આશ્રમના 90 જેટલા મનો દિવ્યાંગોને શ્રી સોમનાથ યાત્રા કરાવવામાં આવી હતી. ટ્રસ્ટનું વાહન તેમને આશ્રમથી મંદિર સુધી લેવા અને મુકવા ગયું, સાથે દિવ્યાંગોને દર્શન કરાવી વસ્ત્ર અર્પણ કરી ભોજન પ્રસાદ કરાવવામાં આવ્યો હતો. આ સાથે સાંપ્રત આશ્રમ ખાતે 33 દિવ્યાંગ બાળકો માટે પ્રસાદરૂપે ભોજનનું વિતરણ કરવામાં આવ્યું હતું.
આ સમગ્ર કાર્યક્રમોમાં સામાજિક સેવા અને વૈદિક પરંપરાનું અનોખું સમન્વય જોવા મળ્યું હતું. શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા આયોજિત આ સેવા યજ્ઞથી માત્ર ધાર્મિક ભાવના જ નહીં પરંતુ સમાજના દરેક વર્ગ સુધી સેવા અને સંસ્કૃતિના સંદેશનો વ્યાપક પ્રસાર કરવામાં આવ્યો હતો.