ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષા શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થઈ..પોલીસ સુરક્ષા હેઠળ પેપર ચકાસણી પણ શરૂ કરવામાં આવી

ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષા શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થઈ ગઈ છે. કોઈપણ વિવાદ વગર પરીક્ષા પૂર્ણ થતા ગુજરાત બોર્ડે, વિદ્યાર્થીઓએ અને વાલીઓએ રાહતનો શ્વાસ લીધો હતો. જો હવે પરીક્ષાનું પરિણામ વહેલું જાહેર થાય તે માટેના પ્રયાસ પણ શરૂ કરવામાં આવ્યા છે. અમદાવાદ શહેર અને ગ્રામ્યમાં 45 જેટલા મધ્યસ્થ મૂલ્યાંકન સેન્ટર બનાવવામાં આવ્યા છે. જ્યાં પોલીસ સુરક્ષા હેઠળ પેપર ચકાસણી પણ શરૂ કરવામાં આવી છે. પરીક્ષાનું પરિણામ વહેલું જાહેર થાય તે માટે વધારે સ્ટાફ રાખીને પેપર ચકાસણી કરવામાં આવી રહી છે. જેથી આ વર્ષે પણ ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાનું પરિણામ વહેલું જાહેર થઈ શકે છે.
ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષા 18 માર્ચના પૂર્ણ થતા જ ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા રાજ્યભરમાં પેપર ચકાસણી શરૂ કરી દેવામાં આવી છે. રાજ્યના 454 મૂલ્યાંકન કેન્દ્ર પર અંદાજે 75 હજાર કરતા વધુ વિદ્યાર્થીઓ પેપર ચકાસણીની કામગીરીમાં જોડાયા છે. સવારે 11 વાગ્યાથી લઈને સાંજે 5 વાગ્યા સુધી તમામ પરીક્ષા સેન્ટર પર પેપર ચકાસણી કરવામાં આવી રહી છે. ત્યારે અમદાવાદ શહેર અને ગ્રામ્યમાં પણ 45 જેટલા પરીક્ષા સેન્ટર પર પેપર ચકાસણી ચાલી રહી છે. 4000 કરતાં વધુ સ્ટાફ મધ્યસ્થ મૂલ્યાંકન કેન્દ્ર પર પરીક્ષાના પેપરની કામગીરીમાં જોડાયા છે.
મૂલ્યાંકન કેન્દ્ર પર પેપર સ્ટ્રોંગ રૂમમાં બનાવવામાં આવ્યો છે. જ્યાં અલગ વિષયના પેપર પોલીસની દેખરેખ હેઠળ રાખવામાં આવ્યા છે. જે બાદ અલગ વિષયના શિક્ષકને પેપર ડિવાઇડ કરીને પેપર ચકાસણી માટે આપવામાં આવે છે. પેપર ચકાસણીમાં કોઈ ગેરરીતિ ન થાય તે માટે પોલીસ સુરક્ષા પણ ગોઠવવામાં આવી છે. હથિયાર સાથે પોલીસ સ્ટાફ દ્વારા સ્ટ્રોંગ રૂમ બહાર દેખરેખ રાખવામાં આવી રહી છે. તેમજ શિક્ષણ બોર્ડ દ્વારા પરિણામ વહેલા જાહેર કરવા માટે વધારે સ્ટાફ રાખીને કામગીરીને ઝડપી બનાવવામાં આવી રહી છે. તેમજ શિક્ષણ બોર્ડ દ્વારા પણ પેપર ચેકિંગની કામગીરી ઝડપી પૂર્ણ કરી ગુજરાત બોર્ડમાં જમાં કરાવવા માટેની પણ સૂચના આપવામાં આવી છે.