માન્ય રાજકીય પક્ષોને મહત્તમ સંખ્યામાં BLAની નિયુક્તિ કરી નાગરિકોને મદદરૂપ થવા અનુરોધ

સમગ્ર ગુજરાતમાં મતદાર યાદીની ખાસ સઘન સુધારણા (એસએઆર-સર) ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. આ ઝુંબેશમાં ગણતરીનો તબક્કો 11મી ડિસેમ્બર સુધી ચાલવાનો છે, જ્યારે તા. 16 ડિસેમ્બરના રોજ ડ્રાફટ મતદાર યાદી પ્રસિદ્ધ કરવામાં આવશે. જેના સંદર્ભે ભારતના ચૂંટણીપંચના માર્ગદર્શનમાં તથા મુખ્ય નિર્વાચન અધિકારી (સીઈઓ) હારીત શુક્લાની આગેવાનીમાં આજે માન્ય રાજકીય પક્ષોના પ્રતિનિધીઓ સાથે બેઠક યોજાઈ હતી. જેમાં સીઈઓ હારીત શુક્લાએ બીજેપી, કોંગ્રેસ, આઆપ અને બસપાના ઉપસ્થિત પ્રતિનિધીઓને સર ની કાર્યપ્રગતિથી માહિતગાર કર્યા હતા.
તેમણે જણાવ્યું હતું કે, હાલમાં 82.85%થી વધુ ગણતરી ફોર્મ્સનું ડિજીટાઈઝેશન પૂર્ણ થઈ ગયું છે. દર કલાકે આ કામગીરીનો આંકડો વધી રહ્યો છે. અંતરિયાળ અને આદિજાતિ જિલ્લાઓ ફોર્મના ડિજીટાઈઝેશની કામગીરીમાં અગ્રેસર છે. તથા તમામ 33 જિલ્લાઓમાં ડિજીટાઈઝેશનની કામગીરી ખૂબ જ ઝડપભેર ચાલી રહી છે. રાજ્યભરના બીએલઓ ચૂંટણી પંચના સૈનિકોની જેમ કામગીરી કરી રહ્યા છે. જે પ્રશંસાને પાત્ર છે. નાગરિકોની સવલત માટે માન્ય રાજકીય પક્ષોના કુલ 50 હજારથી વધુ બીએલએ પણ મતદાનયાદીની ખાસ સઘન સુધારણામાં મદદરૂપ બની રહ્યા છે. તદુપરાંત મહાનગરપાલિકા અને નગરપાલિકા વિસ્તારમાં વસ્તી જટિલતાને ધ્યાને લઈને બીએલઓની મદદ માટે રાજ્યભરમાં 30 હજારથી વધુ સ્વયંસેવકોની પણ નિયુક્તિ કરાઈ છે. આગામી તબક્કાઓમાં બીએલઓ અને બીએલએની ભૂમિકા મહત્વની હોઈ, માન્ય રાજકીય પક્ષો વધુમાં વધુ બીએલએની
નિયુક્તિ કરે તેવો અનુરોધ પણ મુખ્ય નિર્વાચન અધિકારીએ કર્યો હતો.
મતદારોની મુંઝવણ અને પ્રશ્નોના સમાધાન માટે તા.15, 16, 22, 23, 29 અને 30 નવેમ્બર એમ 6 દિવસ રાજ્યભરમાં ખાસ કેમ્પોનું આયોજન કરવામાં આવ્યું હતું. જેનો લાભ 50 લાખથી વધુ લોકોએ લીધો હતો. આગામી તબક્કાઓમાં પણ આવા કેમ્પ આયોજિત કરવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે, તા. 16 ડિસેમ્બર 2025ના રોજ રાજ્યની ડ્રાફ્ટ મતદાર યાદી પ્રસિદ્ધ કરવામાં આવશે. ડ્રાફ્ટ મતદાર યાદીમાં જેમના નામ સમાવિષ્ટ ન હોય તેવા મતદારોની યાદી સમાવિષ્ટ ન થવાના કારણો સાથે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં પ્રકાશિત કરવામાં આવશે તથા મુખ્ય નિર્વાચન અધિકારીની વેબસાઈટ https://ceo.gujarat.gov.in પર પણ ઉપલબ્ધ કરાવવામાં આવશે.
જે મતદારો તેમના ગણતરી ફોર્મ જમા કરાવી શક્યા નથી અને તે કારણસર તેમનું નામ ડ્રાફ્ટ યાદીમાં ન આવે તેવા કિસ્સામાં તેઓ ફોર્મ નં 6 ભરી શકશે. તા.15 જાન્યુઆરી 2026 પહેલા જે મતદારનું ફોર્મ નં 6 મતદાર નોંધણી અધિકારીને મળી જશે, તેમના ફોર્મ મંજૂર થયેથી તેમના નામનો સમાવેશ આખરી મતદાર યાદીમાં કરવામાં આવશે. તા. 15 જાન્યુઆરી 2026 પછી પણ કોઈપણ સમયે ફોર્મ 6/8 ભરી શકાશે અને તેવા મતદારોના નામનો સમાવેશ સર બાદ પણ સતત સુધારણા અને ખાસ સંક્ષિપ્ત સુધારણાના સમયગાળા દરમિયાન થઈ શકશે. બેઠકના અંત ભાગમાં મતદાર યાદીની ખાસ સઘન સુધારણા ઝુંબેશનો હેતુ પુનઃ સ્પષ્ટ કરાયો હતો. માન્ય રાજકીય પક્ષોના પ્રતિનિધિઓએ પણ સમગ્ર પ્રક્રિયામાં ચૂંટણી પંચને સહકાર આપવા પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી.