પદ્મભૂષણ વિભૂષિત, રાજપ્રતિબોધક, સરસ્વતીલબ્ધપ્રસાદ પરમ પૂજ્ય જૈનાચાર્યશ્રી રત્ન સુંદર સુરિશ્વરજી છેલ્લાં ૫૦ – ૫૦ વર્ષોથી પ્રવચનો અને પુસ્તક લેખનના માધ્યમે શીલ – સદાચાર – સંસ્કૃતિ રક્ષાના કાર્યો કરી રહ્યા છે, હજારો – લાખો આત્માઓના જીવન પરિવર્તન – મન પરિવર્તન અને હૃદય પરિવર્તનમાં પૂજ્ય ગુરુદેવશ્રીના પ્રવચન અને પુસ્તકો નિમિત્ત બની રહ્યાં છે.
આપને જણાવતાં અમને અત્યંત આનંદ અને હર્ષ થાય છે કે પૂજ્ય ગુરુદેવશ્રીની સમાજકલ્યાણના હેતુ સાથે આરંભાયેલી સાહિત્યસર્જનની યાત્રા ૫૦૦માં પુસ્તકના ઉત્તુંગ શિખરને સ્પર્શવા જઈ રહી છે.
આ ૫૦૦માં પુસ્તક વિમોચનનો પ્રસંગ તા. ૦૭ જાન્યુઆરી થી ૧૧ જાન્યુઆરી ૨૦૨૬ના રોજ મુલુન્ડ, મુંબઈ મુકામે આયોજિત કરેલ છે.
આ ઉર્જા મહોત્સવમાં પધારવા અને તા. ૧૧ જાન્યુઆરી ૨૦૨૬ના રોજ ૫૦૦માં પુસ્તકનું વિમોચન માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના વરદ હસ્તે થાય તે ભાવના સહ તેઓને આમંત્રણ આપવા ઉર્જા મહોત્સવ સમિતિના સદસ્યો અને રત્નત્રયી ટ્રસ્ટના તમામ ટ્રસ્ટી, શ્રી કલ્પેશભાઈ શાહ, ડો.સંજયભાઈ શાહ, શ્રી નિખિલભાઈ કુસુમગર, શ્રી કૌશિક્ભાઈ સંઘવી અને શ્રી પલકભાઈ શાહ દિલ્હી ખાતે તેઓને રૂબરૂ મળ્યાં.
માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ પૂજ્ય ગુરુદેવશ્રી હસ્તે ચાલતાં રાષ્ટ્ર રક્ષાના, સંસ્કૃતિ રક્ષાના કાર્યોની સરાહના કરી, પૂજ્ય ગુરુદેવશ્રીના પુસ્તકોના નિયમિત વાંચન તેઓના જીવનનું બળ પૂરું પાડે છે તે વાત વાગોળી, વિવિધ ગૌ શાળા અને પાંજરાપોળમાં જૈન સમાજના યોગદાનની વાતો, શાસન રત્ન શ્રીયુત કુમારપાળભાઈ વિ. શાહ ( કલિકુંડ – ધોળકા ) દ્વારા ચાલતાં કુદરતી હોનારતમાં સેવા અને માનવ કલ્યાણના કાર્યો, સ્વચ્છ ઇંધણને પ્રોત્સાહન આપવાના ઉદ્દેશથી કેન્દ્ર સરકાર દ્વારા અમલમાં મુકાયેલ ગોબરધન યોજના એટલે કે ગેલ્વેનાઇઝિંગ ઓર્ગેનિક બાયો-એગ્રો રિસોર્સીસ ધન યોજનામાં જૈન સમાજનું યોગદાન, સરકાર દ્વારા ગુજરાતી હસ્તપ્રત સંરક્ષણ યોજના ( Gujarati Manuscript Preservation Scheme) વિગેરેની વાતો અને સંસ્મરણો વાગોળ્યા સાથોસાથ પૂજ્ય ગુરુદેવશ્રી લિખિત ૫૦૦માં પુસ્તકમાં પધારવા અને તેઓશ્રીના વરદ હસ્તે જ વિમોચન થશે તેમ આશ્વાસન આપેલ