
અસારવામાં શ્રાવણી અમાસનો ભવ્ય મેળો-700 વર્ષ જૂના નિલકંઠ મહાદેવ મંદિરે 23 ઓગસ્ટે સવા લાખ બિલીપત્ર અર્પણ
અમદાવાદ : અસારવા યુથ સર્કલના પ્રમુખ શ્રી સંજય પટેલે જણાવ્યું હતું કે અસારવાના લગભગ 700 વર્ષ જૂના સુપ્રસિદ્ધ શ્રી નિલકંઠ મહાદેવ મંદિરે આવનાર 23 ઓગસ્ટ, શનિવારના રોજ શ્રાવણી અમાસનો મેળો યોજાશે.
આ દિવસે ભક્તો દ્વારા ભગવાન શંકરને સવા લાખ બિલી પત્રો અર્પણ કરાશે તેમજ બપોરે 12 વાગ્યે મહા આરતી યોજાશે. મેળા દરમિયાન અસારવા યુથ સર્કલ અને અન્ય સામાજિક સંસ્થાઓ દ્વારા ઠેર-ઠેર પાણી પરબનું તથા ઇન્ક્વાયરી ઓફિસનું આયોજન કરવામાં આવશે. તે ઉપરાંત અસારવાગામની કુલદેવી શ્રી માતર ભાવાની વાવ ખાતે પણ ભવ્ય દર્શનનો લાભ ભક્તોને મળશે.
ઈતિહાસ મુજબ, આશરે 700 વર્ષ પહેલાં સ્વામી હિરાપુરીજી મહારાજે આ મંદિરની સ્થાપના કરી હતી. તેઓ લુણાવાડાના શ્રી મનોહર્નાથગિરીજી મહારાજના સદાયીક શિષ્ય હતા. મનોહર્નાથગિરીજી મહારાજે તેમને ભભૂતિનો ગોળો તથા અન્નપૂર્ણા માતાજીની પ્રતિમા આપી હતી. એ લઇને શ્રી હિરાપુરીજી મહારાજ અમદાવાદ આવ્યા અને અસારવા ગામે કનૈરા વૃક્ષ નીચે ચૈતન્ય ધૂણી સ્થાપી તપસ્યા કરી હતી.
તે સમયે સત્પુરુષ શ્રી બેહચરદાસ મણકીવાળાએ મહારાજની પ્રેરણાથી શ્રી નિલકંઠ મહાદેવ મંદિરનું નિર્માણ કરાવ્યું હતું. ત્યારથી આજ સુધી દર વર્ષની જેમ આ પરંપરાગત મેળાનું આયોજન કરવામાં આવે છે.